નવરાત્રી વેકેશન જેટલા દિવસનું હોતુ નથી તેના કરતા પણ વધુ મહિનાઓથી આ નવરાત્રી વેકેશન ઠેરનું ઠેર વિવાદમાં જોવા મળી રહ્યું છે. નવરાત્રી મામલે સરકાર ફરી વિવાદમાં ફસાતા લોકોનાં મનમાં પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે આ તે વેકેશન છે કે વિવાદોનું ઘર. અને આખરે વેકેશન આપવું કે નહિ તે નક્કી કરે છે કોણ? સરકાર કે શિક્ષણ માફિયા ? અને જો વેેકેશન આપવાનું જ નહોતું જો પાછલા વર્ષે રદ્દ કરી નાખેલ વેકેશન પાછુ આપવામાં આવશે તેવું જાહેર કોણે કર્યું અને શું કામે ?
લોકમાનમાં આવતા આ સવાલો પણ વ્યાજબી છે કારણ કે સરકાર દ્રારા જ થોડા દિવસો પૂર્વે આ વર્ષે નવરાત્રી વેકેશન આપવામા આવશે તેવી જાહેરાત કર્યા બાદ અને બોર્ડ દ્રારા વાર્ષીક શૈક્ષણીક કેલેન્ડર જાહેર કર્યાનાં ગણતરીનાં કલાકોમાં જ નવરાત્રી વેકેશન રદ્દ કરવામા આવ્યું છે અને સરકાર દ્રારા ખુદનાં જ બોલ પર આભી બોલા અભી ફોક જેવી સ્થિતિ સામે આવી છે.
આપને જણાવી દઇએ કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું. કેલેન્ડરમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે નવરાત્રિ વેકેશનને લઈ આઠ દિવસની રજાઓ જાહેર કરી હતી. તો બીજી બાજુ શિક્ષણમંત્રીએ માત્ર એક કલાકમાં જ આ નિર્ણયને રદ કરતા નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરવી પડી હતી. શિક્ષણ બોર્ડ દ્રારા સવારે GSEBની વેબસાઈટ પર મુકવામાં આવેલ શૈક્ષણિક કેલેન્ડર ગણતરીના કલાકોમાં જ હટાવવાની ફરજ પડી હતી.
તો હવે સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે જ્યારે બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં 8 દિવસનું નવરાત્રી વેકેશન કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે.