એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં ગતરાત્રે એકસાથે ૯ બાળકોના મોતથી ખળભળાટ મચી ગયો છે, સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં સૌપ્રથમ એક જ દિવસે 9 બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના જુદા-જુદા સ્થળેથી આ બાળકોને લાવવામાં આવ્યા હતા. I.C.U.માં એક સાથે 9 બાળકોના મોત થતાં તંત્ર સાબદુ થઇ ગયું છે.
આ અંગે સિવિલના સત્તાધીશોના મત મુજબ બાળકો પ્રીમેચ્યોર અનં ગંભીર બિમાર હોવાથી મૃત્યુ પામ્યા હોવાના બચાવ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં એક સાથે ૧૬ બાળકોના મોત બાદ હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 9 ભુલકાઓના મોત બાદ પણ સત્તાધીશોના પેટનું પાણી હલતુ નથી.
મળતી માહિતી પ્રમાણે દિવાળીમાં બીજા સ્થળોએ ટ્રીટમેન્ટ ના મળતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તંત્રનો દાવો છે કે કોઇપણ ટેકનિકલ ખામી નથી. આ તમામ બાળકો ગંભીર બીમારીથી પીડાતા હતા. કુલ 9 બાળકમાંથી 4 બાળકોનો જન્મ તો સિવિલ હોસ્પિટલમાં જ થયો હતો. ત્યારબાદ બાળક વિભાગના કે.એમ.મહેરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે 9 બાળકોના મોત પાછળ કુદરતી કારણ જવાબદાર છે. આ બાળકોના મોત પ્રિમેચ્ચોર ડિલિવરની કારણે થયા છે. તેમજ એક સાથે 9 બાળકોના મોતનો બનાવ 25 વર્ષમાં પહેલી વખત બન્યો છે. વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની જાણ રાજયના આરોગ્ય વિભાગને કરવામાં આવશે.તેમજ આ બાળકોની સારવાર માટે અમે કોઇ પ્રકારની કચાશ રાખી નથી અને તપાસ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સામે શું પગલા લેવાશે?