આપણા દેશના રાજકારણીઓ બકવાસ કરવામાં ક્યારેય પાછા ફરતા નથી. ઘણીવાર રાજકારણીઓનો બકવાસ એક યા બીજા પક્ષ માટે એડવેન્ટેજ એટલે કે ફાયદા સમાન બનતો હોય છે. કો’કવાર આવા રાજકારણીઓના વિધાનો જુદી રીતે રજૂ કરવાનો પણ પ્રયાસ થતો હોય છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવના મહમદ અલી ઝીણાવાળ વિધાનો પર ધર્મના નામે અત્યારે પણ રાજકીય ખેલ ચાલુ છે. કોંગ્રેસી અગ્રણીના પુસ્તકમાં હિન્દુત્વ અને હિંદુવાર વિષેના વિધાનોની ચર્ચા પણ ચાલુ છે. તેના વિષે ખૂબ લખાઈ ગયું છે. જ્યારે બીજા એક કોંગ્રેસી આગેવાન સલમાન ખુરશીદે શ્રી રામના નામ અંગે જે વિધાનો કર્યા તેને પ્રચાર માધ્યમો સમક્ષ ભાજપના આગેવાનો દ્વારા જુદી રીતે રજૂ કરવામાં આવ્યા. તેનો પર્દાફાશ થયા બાદ કમસે કમ આ પ્રકરણ શાંત પડ્યું છે. જ્યારે તાજેતરમાં પદ્મશ્રી મેળવનાર અભિનેત્રી કંગના રણોતે ગાંધીજી અને સ્વાતંત્ર્યસેનાનીઓ માટે જે વિધાનો કર્યા તે ભલે કોઈ રાજકારણીનો બકવાસ છે તે ન માનીએ પણ રાજકીય દાવ શરૂ કરવા જઈ રહેલી અને કેન્દ્રની ભક્તિ કરી રહેલી અભિનેત્રીનો વાણીવિલાસ તો છે જ. તેમાંય ઈતિહાસ વાચ્યા વગર હમણા જેની સાર્ધ જન્મ શતાબ્દી ઉજવી તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિષે અને જેનો મૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે આઝાદી વિષે જે વિધાનો કર્યા તે તો સ્વાતંત્ર્ય વીરો અને આઝાદી બન્નેનું અપમાન છે અને એક વિવેચકે ત્યાં સુધી નોંધ્યું છે કે ગાંધીજીને કંગના રણોતના પ્રમાણપત્રની જરૂર નથી. ભગતસિંહ, સુખદેવ, આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ સહિત કોઈ સ્વાતંત્ર્ય સૈનિકોને કંગના રણોત જેવી અભિનેત્રીના પ્રમાણપત્રની જરૂર નથી.
આ બધા વિધાનો – બકવાસ વચ્ચે કોંગ્રેસના બહુ બોલકા અને વિવાદો સર્જવા માટે જાણીતા દક્ષિણના નેતા મણીશંકર ઐય્યરે એક નવો વિવાદ ઉભો કરી દીધો છે. મણીશંકર ઐય્યરે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મોગલ સામ્રાજ્યના રાજાઓના વખાણ કરીને કહ્યું કે મોગલોએ ભારતમાં કદી ભારતમાં ધર્મના નામે અત્યાચારો કદી ભારતમાં અત્યાચારો કર્યા નહોતા. ઐય્યરે અકબરને પોતાના, જહાંગીરને અડધા રાજપુત ગણાવ્યા ત્યાં સુધી ઠીક છે. ઈતિહાસની વાત કરી પણ પછી એક ડગલું આગળ વધીને એવું કહ્યું કે હાલના સત્તાધારી પક્ષને ૮૦ ટકા લોકો જ અસલી ભારતીય લાગે છે. તેમના આ વિધાનથી ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હિંદુ કાર્ડ રમવાની સરળતા કરી દીધી છે તેવું રાજકીય વિવેચકો સ્પષ્ટપણે માની રહ્યા છે. ભૂતકાળમાં મણીશંકર ઐય્યર અને કોંગ્રેસના બીજી વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે જ્યારે પણ વિવાદી વિધાનો કર્યા છે ત્યારે તેનો ફાયદો તો ભાજપને થયો છે. ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાનો ચૂંટણીપ્રચાર પરાકાષ્ટાએ હતો તેવે સમયે આજ મણીશંકર ઐય્યરે વડાપ્રધાન મોદી માટે ‘નીચ આદમી’ એવો શબ્દ પ્રયોગ કર્યો હતો. જેનો ભાજપના આગેવાનોએ ભરપૂર વિરોધ કર્યો. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અને સરકારે આંદોલન દબાવવા પાટીદારો સહિતના સમાજ પર જે દમન કરેલું તેના કારણે ગુજરાતમાં જે ભાજપ વિરોધી વાતાવરણ ઉભું થયેલું અને તેના કારણે જ ૨૦૧૬ની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને જે સફળતા મળેલી તે ધોવાઈ ગઈ અને ગુજરાતમાં ભાજપે સત્તા જાળવી અને મણીશંકર ઐય્યરના આવા વિધાનોનો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી પ્રચાર કર્યો અને આ ચૂંટણી પણ જીતી લીધી. ટૂંકમાં ભાજપને તેની કામગીરી નહિ પણ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના આગેવાનોએ કરેલા વિવાદી વિધાનો ફળે છે તે વધુ એકવાર પુરવાર થઈ રહ્યું છે.
જેમ કંગના રણોતે પોતાની મોદીભક્તિ સાબિત કરવા માટે ૨૦૧૪ પછી સાચી આઝાદી મળી હોવાનું કહી ૧૯૪૭માં મળેલી આઝાદીને ભીખમાં મળેલી આઝાદી ગણાવવાની ચેષ્ટા કરી તેના કારણે વિરોધ થયો છે. ભાજપના વરૂણ ગાંધી જેવા રાષ્ટ્રભક્ત આગેવાનોએ કંગના રણૌતની ખૂબ ઝાટકણી કાઢી છે પણ શીર્ષસ્થ આગેવાનો અને ભાજપ સાથે સંકળાયેલા અને હંમેશા રાષ્ટ્રવાદના ગાણા ગાતા સંગઠનોના આગેવાનો તેમજ ભક્તો ચૂપ છે. કારણ કે આ પરીબળોને રાષ્ટ્ર કરતાં સત્તાની ભક્તિ વધુ વહાલી લાગે છે તેવું કેટલાક વિવેચકો કહે છે. હિંદુત્વ વિષેના કોંગ્રેસી આગેવાનોના વિધાનોનો ભાજપે જે રીતે ઉપયોગ શરૂ કર્યો છે તેવો ઉપયોગ કરવામાં કોંગ્રેસ સહિતના વિપક્ષો નિષ્ફળ ગયા છે. ભુતકાળમાં પણ આવું જ બન્યું હતું અને આજે પણ આવું જ બની રહ્યું છે તે વાતની નોંધ લીધા વગર ચાલે તેવું નથી.
કોંગ્રેસી આગેવાનો જે રીતે ચૂંટણી સાથે ઝળુંબતી હોય ત્યારે જે વિધાનો કરે છે તે કોંગ્રેસને પરાજયના માર્ગે ધકેલનારા અને ભાજપની સત્તા બચાવનારા કે ફાયદામંદ સાબિત થાયછે. ગુજરાત વિધાનસભાની ૨૦૦૭માં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર સામે વિરોધ હતો. તેમના પક્ષના જ ઘણા આગેવાનો બળવો કરીને સામા મેદાનમાં આવ્યા હતા. ભાજપા કેટલાક વગદાર આગેવાનો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે ‘મોતના સોદાગર’ એવા શબ્દનો પ્રયોગ કર્યો તેનો મોદી અને ભાજપના નેતાઓએ ભરપુર ઉપયોગ કર્યો જેના કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ કે ભાજપ હારમાંથી બચી ગયું એટલું જ નહિ પરંતુ સત્તા પણ સારી રીતે જાળવી રાખી. આ એક હકિકત છે.
આવું તો ઘણીવાર બન્યું છે કોગ્રેસ કે વિપક્ષના આગેવાનો ભાજપ માટે ગમે તેવા વિધાનો કરી પ્રહારો કરવા જતાં ફસાઈ ગયા છે અને ભાજપે હંમેશા તેનો ફાયદો જ ઉઠાવ્યો છે. આ તેની આવડત છે. યુપીમાં યોગી આદિત્યનાથ સામે પ્રચંડ વિરોધ છે. પશ્ચિમ યુપીના ખેડૂતો કૃષિ કાયદાના મામલે ભાજપની સામે છે અને ખૂદ ભાજપના કેટલાક આગેવાનો સ્વીકારે છે તે પ્રમાણે પશ્ચિમ ઉત્તરપ્રદેશના ઘણા ગામોમાં ભાજપના આગેવાનો માટે પ્રવેશબંધી છે. લખીમપુર ખેરીના ૪ ખેડૂતોનો ભોગ લેનારા બનાવ અંગે ખેડૂત આંદોલનને વેગ મળ્યો છે. હાથરસ સહિતના બળાત્કાર અને હત્યાના બનાવો સાવ ભૂલાયા નથી. ભલે પેટાચૂંટણીના પરિણામો બાદ કેન્દ્ર અને રાજ્યે પેટ્રોલ અને ડિઝલ પર વેરા ઘટાડ્યા હોય પરંતુ હજી મોંઘવારી ગઈ નથી અને મોંઘવારી સામેનો લોકોનો રોષ યથાવત પણ છે. આ સંજાેગો વચ્ચે યુપી ઉત્તરાખંડ વગેરે સ્થળોેએ ભાજપની સ્થિતિ સો ટકા સારી તો નથી જ. આ સંજાેગો વચ્ચ્ ભાજપ હિંદુકાર્ડ રમવા જઈ રહ્યો છે અને મોદીએ પણ પોતાના પક્ષના એટલે કે ભાજપના લઘુમતી મોરચાને કામે લગાડી તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મુસ્લિમોના ઓછામાં ઓછા પાંચ હજાર મત મેળવવા વ્યૂહ ઘડ્યો છે ત્યારે ઐય્યર અને અખિલેશના વિવાદી વિધાનો યુપીમાં ભાજપના ફાયદામાં જાય તેવી સ્થિતિ સર્જી રહ્યાં છે.