પંજાબના મોહાલીમાં ફેઝ-8ના દશેરા ગ્રાઉન્ડ ખાતે આયોજિત મોહાલી ટ્રેડ ફેર (લંડન બ્રિજ) મેળા દરમિયાન ડ્રોપ ટાવરનો ઝૂલો તૂટી પડતાં લગભગ 30 લોકો ઘાયલ થયા હતા લગભગ 50 મીટરની ઊંચાઈથી ઝૂલો તૂટ્યો અને જમીન પર પડ્યો હોવાના અહેવાલ છે. ઝૂલો તૂટતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે નાસભાગમાં કોઈને ઈજા થઈ ન હતી. અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Live Visual of swing breaking in #Mohali phase 8, Many people got injured. Around 16 women & kids were hospitalised after the incident. pic.twitter.com/bay5IfzHLB
— Nikhil Choudhary (@NikhilCh_) September 4, 2022
આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ડ્રોપ ટાવરનો ઝૂલો ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો. અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને ખૂબ જ ઝડપે નીચે પડી ગયો. અકસ્માતમાં મહિલાઓ અને બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમના મોઢા અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોએ ઘાયલોને તાત્કાલિક પોતાના વાહનોમાં હોસ્પિટલ લઈ ગયા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત કામગીરીમાં લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેળાની આયોજક કંપની દિલ્હી ઇવેન્ટ્સ સપ્ટેમ્બરમાં જ ગુરુગ્રામ અને પંચકુલામાં અને ડિસેમ્બરમાં ચંદીગઢમાં સમાન મેળાનું આયોજન કરવા જઈ રહી છે.