મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ
પંચમહાલ : હાલોલ-વડોદરા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે થયુ દીપડાનું મોત
● હાલોલ- વડોદરા હાઇવે પર આવેલી નર્મદાના મુખ્ય કેનાલ નજીક રાત્રે બની ઘટના
● રોડ ક્રોસ કરતી વખતે દિપડો વાહનની ટક્કરે આવી જતા ઘટના સ્થળે જ થયું મોત
● જંગલ વિસ્તારમાંથી રહેણાક વિસ્તારોમાં પહોંચી રહ્યાં છે પ્રાણીઓ
● ફોરેસ્ટ વિભાગની બેદરકારીના કારણે રોડ અકસ્માતમાં અનેક દિપડાઓએ અત્યાર સુધી જીવ ગુમાવ્યાં છે.
જંગલના પ્રાણીઓની સુરક્ષા ફોરેસ્ટ વિભાગના માથે છે. પરંતુ પંચમહાલના જંગલોમાં વસવાટ કરતા દિપડા અનેક વખત રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જંગલ વિસ્તારથી દુર આવેલા રહેણાક વિસ્તારમાં હવે દિપડો પહોંચ્યો છે. હાલોલ – વડોદરા રોડ પર રાત્રીના સમયે વાહનની ટક્કરે દિપડાનુ મોત નિપજ્તાં મોટી સંખ્યામાં રાહદારીઓના ટોળા એકત્ર થતાં ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
પંચમહાલના જંગલોમાં મોટી સંખ્યામાં દિપડા, રીંછ સહિત અનેક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. જંગલમાં માનવ વસ્તી વચ્ચે વસવાટ કરતા પ્રાણીઓ અનેક વખત ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. જેથી કેટલીક વખત આદમખોર દિપડો (Leopard) મનુષ્યો પર હુમલો કર્યા હોવાના કિસ્સા આપણે સાંભળ્યા અને જોયા પણ છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ હોય તેમ જંગલમાં વસવાટ કરતા દિપડા હવે રહેણાક વિસ્તારો સુધી પહોંચી ગયા હોય તેવુ જોવા મળી રહ્યું છે.શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યાના અરસામાં હાલોલ થી વડોદરા તરફ જવાના રસ્તે નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. કેનાલ નજીક અંધારામાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે જ સમયે પુરઝડપે આવી રહેલા વાહનની ટક્કરે દિપડો આવી જતા હવામાં ફંગોળાઈ જમીન પર પટકાતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. અકસ્માતમાં દિપડાનુ મોત નિપજતા હાઈવે પરથી પસાર થતાં વાહનો ચાલકો અને આસપાસના ગ્રામજનો એકઠા થયા હતા. બનાવ અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવવા નિકળ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.