વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશની કથિત ‘અલગ રાષ્ટ્ર’ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી અને લોકસભામાં આકરી પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદી સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ખસેડવામાં આવેલા આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા, જ્યારે તેમણે કોંગ્રેસના સાંસદની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને ટીકા કરી હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશની ટીપ્પણી પર આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે દેશમાં અલગ દેશ બનાવવાની ખુલ્લેઆમ હિમાયત કરો છો, એકીકરણની વાત ભૂલી જાઓ, તેને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આટલા બધા ટુકડા કર્યા પછી પણ તમારું મન સંતુષ્ટ નથી? તમે દેશને ઘણા ટુકડા કરી નાખ્યા છે, શું તમે તેને વધુ ટુકડા કરવા માંગો છો? ક્યાં સુધી તમે આમ કરતા રહેશો?
ડીકે સુરેશ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસ રાજ્ય એકમના અધ્યક્ષ ડીકે શિવકુમારના ભાઈ છે. ડીકે સુરેશે ગુરુવારે કહ્યું હતું કે જો વિવિધ કરમાંથી એકત્ર કરાયેલા ભંડોળના વિતરણના મામલામાં દક્ષિણના રાજ્યો સાથે થઈ રહેલો ‘અન્યાય’ રોકવામાં નહીં આવે, તો દક્ષિણના રાજ્યો અલગ રાષ્ટ્રની માંગણી કરશે.