@પ્રફુલ્લ ત્રિવેદી
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવામાં ઝળહળતીથી ફતેહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું બે દિવસના રોડ શો થી જણાઈ રહ્યું છે. ગાંધીનગરના એક વરિષ્ઠ અધિકારીએ વાત વાતમાં જણાવ્યું હતું કે અમને પણ લાગતું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી મે જૂનમાં આવી જશે. દરમ્યાન એમણે એવું લોજીક પણ આપ્યું કે ઊંઝાના ધારાસભ્યના અવસાનથી ખાલી પડેલી જગ્યાની પેટા ચૂંટણીની હોળી બાદ જાહેરાત થવાની સંભાવના છે. એ ના થાય તો સમજવું કે ચૂંટણીની જાહેરાત થશે.
ચૂંટણી વહેલી શા માટે યોજાશે ? તે અંગે કારણો આપતાં એક રાજકીય તજજ્ઞએ જણાવ્યું હતું કે ચાર રાજ્યમાં ભગવો લહેરાયો તેનાથી દેશભરમાં એક જબરજસ્ત પોઝિટિવ વાતાવરણ બંધાયું છે. તેનો લાભ ગુજરાતને પૂરેપૂરો મળી જાય તેમ છે. કોંગ્રેસ પક્ષ તેના ધોવાણથી આઘાતની ગર્તામાં સરી ગયો છે. અંદરોઅંદર દોષનો ટોપલો એકબીજાની ઉપર ઢોળાઈ રહ્યો છે. આઘાતની કળ વળતાં સારો એવો સમય જાય તેમ છે. ઉપરાંત ગુજરાતમાં સુરત કોર્પોરેશનથી પાયો નાખનાર ‘આપ’ને સમય ના મળે તે પણ જરૂરી છે. વડાપ્રધાનના આગમન સમયે જ RSSનો યોજાયેલા કાર્યક્રમ પણ આ બાબતની પુષ્ટિ કરે છે કે ભાજપની માધવસિંહ સોલંકીની 149 બેઠકોનો રેકોર્ડ તોડવાની ખ્વાહીશ પૂર્ણ થાય તેમ છે. આ તેના માટે સાનુકૂળ વાતાવરણ છે. જ્યારે ચૂંટણી તેના નિયત સમયે જ યોજાશે તેમ કહેનાર વર્ગની એવી નક્કર દલીલ છે કે ગુજરાતમાં ભાજપ માટે વાતાવરણ હંમેશાં સારું જ રહે છે. ભાજપનો કાર્યકર ગમે ત્યારે ચૂંટણી આવે હંમેશા તૈયાર જ હોય છે. પેજ પ્રમુખ સતેજ જ હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અદભુત કરિશ્મા અને ચાણક્ય ગણાતા મંત્રીશ્રી અમિત શાહનું ચુસ્ત આયોજન હંમેશા ઝળહળતું પરિણામ લાવવા સજ્જ હોય છે.
આ સંજોગોમાં વહેલી ચૂંટણી યોજવાનો કોઇ અર્થ જ નથી. બોર્ડ-નિગમમાં નિમણુંકો પણ બાકી છે. એ પણ એક કારણ છે. એક આગેવાને એમ કહ્યું હતું કે ચૂંટણી વહેલી આવે કે વર્ષના અંતમાં આવે બાકી નરેન્દ્રભાઈના રોડ શોથી વાતાવરણ જબરદસ્ત જામી ગયું છે. ભાજપના પ્રત્યેક કાર્યકર ચાર્જ થઇ ગયો છે જો કે આખોય મામલો ‘જો’ અને ‘તો’ માં અટવાયેલો છે.
રાજકીય/ કોંગ્રેસની હાલત જોઈને મારું દિલ રડી રહ્યું છે : ગુલામ નબી આઝાદ
રાજકીય/ BJP મહિલા મોરચાની નબળી કામગીરી, રોડ શોમાં મહિલાઓની પાંખી હાજરી