સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય બાદ આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા.સુરતના એરપોર્ટ પર આજે સવારે સવા દસ વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા.સુરતના એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી દ્રારા વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું.સુરત એરપોર્ટ પર પીએમ મોદીએ રાજ્યના ચીફ સેક્રેટરી જેએન સિંઘ સાથે થોડી મિનિટ સુધી ગુફ્તગુ પણ કરી હતી.
સુરત એરપોર્ટથી વાયુસેનાના હેલીકોપ્ટર દ્રારા પીએમ વલસાડ પહોંચશે.
પીએમ મોદીનો એક દિવસનો આ પ્રવાસ કાર્યક્રમોથી ભરચક રહેશે. પીએમ મોદી વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન વલસાડ અને જૂનાગઢ ખાતે જાહેરસભા સંબોધશે છે તથા ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને સંબોધીત કરશે. વલસાડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના 1,15,551 લાભાર્થીઓને તેમના નવા ઘરમા પ્રવેશ અપાવશે. જે અંતર્ગત 5 જિલ્લાના આવાસ લાભાર્થીઓના પ્રતિનિધિઓને રૂબરૂમાં મકાનની ચાવી આપશે. જ્યારે તેની સમાંતર 26 જિલ્લામાં વિડીયો કોન્ફરન્સથી અને 220 તાલુકામાં સેટેલાઇટ કોમ્યુનિકેશનથી લાભાર્થીઓને મકાનની ચાવી આપવામાં આવશે.
પીએમ મોદી જૂનાગઢમાં નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે અને એ પછી જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ કોલેજનાં મેદાનમાં જૂનાગઢ માટે રુ.300 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવી સિવિલ હોસ્પિટલ સહિત કૃષિ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલ અને નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. જ્યાંથી તેઓ સાંજે 6 વાગ્યે ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે તેઓ દીક્ષાંત પ્રવચન આપશે. જ્યાર બાદ રાજભવન ખાતે ગુજરાત સરકાર અને ભાજપના મોવડી મંડળ સાથે તેઓ બંધબારણે બેઠક યોજશે અને ત્યારબાદ રાત્રે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.