ભોપાલ: મધ્યપ્રદેશ (MP)માં કોંગ્રેસે ભાજપના દિગ્ગજ નેતા અટલબિહારી વાજપેયીને અપનાવી લીધા છે કે શું? આ સવાલ એટલા માટે ઊભો થવા પામ્યો છે કે, મધ્યપ્રદેશની નવનિયુક્ત કોંગ્રેસની કમલનાથ સરકારે દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે મનાવવાનો આદેશ જાહેર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન રપ ડિસેમ્બરને અત્યાર સુધી ભાજપ દ્વારા સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસે ભાજપ પાસેથી અટલબિહારી વાજપેયીને છીનવી લેવાની તૈયારી કરી લીધી છે.
સુશાસન દિવસથી આગળ વધીને મધ્યપ્રદેશ (MP)માં કોંગ્રેસની કમલનાથ સરકાર દ્વારા ‘સુશાસન સપ્તાહ’ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના ભાગરૂપે આગામી ર૪ ડિસેમ્બરથી સમગ્ર મધ્યપ્રદેશમાં ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી શરૂ થઈ જશે. તા. ર૪ ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ સરકારી કાર્યાલયોમાં કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની તસવીર સામે ‘સુશાસન’ના શપથ લેવામાં આવશે.
અટલજી ‘દળ’ના નહિ પરંતુ ‘દિલ’ના નેતા હતા: કોંગ્રેસ
મધ્યપ્રદેશની કોંગ્રેસની કમલનાથ સરકારની આ જાહેરાત બાદ કોંગ્રેસ પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, અટલજી કોઈ ‘દળ’ના નહીં પણ ‘દિલ’ના નેતા હતા. માત્ર દેશમાં જ નહિ વિદેશમાં પણ તેમની ભારે લોકપ્રિયતા હતી.
કોંગ્રેસની એ પરંપરા રહી છે કે જે હસ્તીઓએ દેશના નાગરિકોનાં દિલમાં સ્થાન બનાવ્યું હોય તેમનું સ્થાન પક્ષની ઉપર છે અને તેમના સિદ્ધાંતો પર ચાલવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને એ કહેવામાં સહેજ પણ ખચકાટ નથી કે, કોંગ્રેસ દ્વારા અટલજીના જન્મદિને ‘સુશાસન દિવસ’ અને ‘સુશાસન સપ્તાહ’ મનાવવામાં આવશે. તેનો હેતુ સ્પષ્ટ છે કે દેશના વિકાસ માટે અટલજી એક આદર્શ સમાન છે અને અમે તેમને અનુસરીશું.