ગાંધીનગર,
તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા સફાયા બાદ મોદી સરકાર દ્વારા ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, આ વચ્ચે ભાજપના બે ધુરંધર પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક જ દિવસે પોતાના ગૃહરાજ્ય ગુજરાત આવી પહોચ્યા છે.
જોવામાં આવે તો, પીએમ મોદી અને અમિત શાહ વર્ષ ૨૦૧૪ બાદ ઘણીવાર ગુજરાત આવ્યા છે, પરંતુ પાર્ટીના બે શીર્ષ નેતાઓની એક જ દિવસે ગુજરાતની મુલાકાતને લઇ દેશભરના રાજકારણમાં ગરમાવો છે.
માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ પોતાની આ મુલાકાત દરમિયાન આગામી લોકસભાની ચૂંટણી અને પાંચ રાજ્યોની મળેલી હાર અંગે વિસ્તૃત ચર્ચા કરી શકે છે.
પીએમ મોદીની ગુજરાત મુલાકાતની વાત કરવામાં આવે તો, તેઓ નર્મદા જીલ્લામાં કેવડિયા કોલોની ખાતે ઓલ ઇન્ડિયા DG (ડાયરેક્ટર જનલર ઓફ પોલીસ) અને IG (ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ)ની વાર્ષિક કોન્ફરન્સમાં હાજરી આપવા માટે આવ્યા છે.
આ ઉપરાંત તેઓ ગાંધીનગરના અડાલજ ખાતે ત્રિમંદિર પહોંચશે અને ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનમા હાજરી આપશે.
જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે રાજકોટ ખાતે સંઘનાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. હિન્દૂ ધર્મસભાનાં તેઓ ભાગ લેશે અને આ દરમિયાન રામ મંદિર અંગે પણ ચર્ચા કરવામાં આવશે.