@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
ગુજરાતમાં કોરોનાનાં કેસ હવે સતત ઘટી રહ્યા છે. દરમિયાન રાજ્યમાં શૈક્ષણિક કાર્ય નિયમિત કરવાની દિશામાં શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે હવે ટૂંક સમયમાં ધોરણ-9 અને 11 નાં વર્ગ શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાનાં કેસની સ્થિતિ જોઇએ તો 21 જાન્યુઆરીની સ્થિતિએ કોરોનાનાં 500 થી ઓછા 471 કેસ નોંધાયા છે. છેલ્લા ચાર દિવસથી કેસમાં ઘટાડાને 500 થી ઓછા કેસ નોંધાયા છે. પરિણામે હવે શૈક્ષણિક કાર્યને પણ નિયમિત કરવાની દિશામાં શિક્ષણવિભાગને કવાયત હાથ ધરી છે. ગત સપ્તાહમાં ધોરણ-10 અને 12 માટે નિયમિત શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું છે. શાળામાં વિદ્યાર્થીઓ આવતાં થયા છે. કોવિડ-19ના નિયમ પાલન સાથે શાળા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. દરમિયાન હવે બીજા તબક્કામાં ધોરણ-9 અને 11 ના વર્ગ શરૂ કરવાની દિશામાં સરકારે સક્રિય વિચારણા હાથ ધરી છે. શિક્ષણ વિભાગે આ અંગે શાળા સંચાલકો સાથે પણ ચર્ચા કરી છે. ધોરણ-9 અને 11 માટે પણ કોવિડ-19-ના નિયમ પાલન સાથે વર્ગ શરૂ કરવા મહદઅંશે સંચાલકો પણ સંમત થયા છે. જો કે સંચાલકોએ આ અંગે સરકાર સમક્ષ હકારાત્મક સૂચન કર્યા છે.
ધોરણ-10 અને 12ના વર્ગ ગત સપ્તાહમાં શરૂ થયા છે ત્યારે તેમાં કોઇ અવરોધ આવે નહીં અને ધોરણ-9 અને 11ના વર્ગ ચાલુ કરવા ડબલ શિફ્ટ શરૂ કરે તેવું આયોજન કરવું જોઇએ. શાળા શરૂ થાય તો કોવિડ-2019ના નિયમનું પાલન કરવું રહેશે. જેમાં વિદ્યાર્થી તરફથી માતા-પિતાની સંમતિ લેવાની રહેશે. તો સંસ્થાએ પણ સામાજિક દૂરી અને વિદ્યાર્થીની શાળામાં હાજર હોય ત્યારે માસ્ક તમામ માટે ફરજીયાત અને શાળા સંકુલ સેનેટાઇઝર કરવા સહિતના નિયમનું પાલન કરવાના નિયમનું પાલન કરવું રહેશે. હાલમાં ધોરણ-10 અને 12માં વર્ગ શરૂ કરવાની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે..ત્યારે હવે ધોરણ-9 અને 11ના વર્ગ શરૂ થાય તો ઓનલાઇન શિક્ષણ બંધ કરવું જોઇએ એવી રજૂઆત પણ આવી છે. એકંદરે કોરોનાના કેસ સતત ઘટતાં હવે બીજા તબક્કામાં ધોરણ-9 અને 11 ત્યારપછી ધોરણ- પ્રાથમિક અને અંતે પ્રિ-પ્રાયમરી પણ શરૂ કરી સંપૂર્ણ શિક્ષણકાર્ય રાબેતા મુજબ કરવાની દિશામાં સરકારે સક્રિય વિચારણા હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…