૧૯૯૦ બાદ સતત જેની બેઠકો અને જનાધાર ઘટતો રહ્યો છે તે કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવાના પ્રિયંકા ગાંધીના પ્રયાસો સફળ થશે ખરા ? એક મહત્ત્વનો મુદ્દો
ભારતના રાજકારણીઓ પૈકીનો એક મોટો વર્ગ ભલે ધર્મના નામનો ઉપયોગ કરવાથી દૂર ભાગતો હોય – ભલે બીનસાંપ્રદાયિક અભિગમના ગુણગાન ગાતો હોય પરંતુ આજ રાજકારણીઓ ગમે ત્યારે પોતાના બિનસાંપ્રદાયિકતાના વાઘા કોરાણે મૂકી દેતા હોય છે. તેના પુરાવા આપતા દાખલા ભૂતકાળમાં પણ જાેવા મળ્યા છે એ આજે પણ જોવા મળે છે. જે રીતે રાજકારણીઓ હવે અટકથી નહીં પરંતુ રાષ્ટ્રીયતાથી ઉમેદવાર ઓળખાશે તેવી વાતો કહેનારા રાજકારણીઓ ચૂંટણી ટાણે જ્ઞાતિવાદી સમીકરણોના આધારે જ ટિકિટોની ફાળવણી કરી રાજકીય દાવ ગોઠવતા હોય છે. કોઈ કોમ કે સમાજને તેમને ગમે તેવા વચનો ચૂંટણી ટાણે આપવામાં તો કોઈ રાજકીય પક્ષ પાછી પાની કરતો નથી. બીજા પક્ષમાંથી આવનારા આગેવાનોને ટિકિટ નહિ મળે તેવી ગુલબાંગો મારનારા નેતાઓ અંતે તો મોવડીમંડળના આદેશના નામે આયાતુ નેતાઓને ટિકિટ પણ આપે છ અને ચૂંટાવી દેવાના પૂરતા પ્રયાસો પણ કરતા હોય છે.
જો કે, હકિકતમાં ભારતના બે મુખ્ય પક્ષોમાં પક્ષપલ્ટુઓને શીરપાવ મળે છે તો નિષ્ઠાવાનોનાં ભાગે વૈંતરું કે મહેનત સિવાય બીજું કશું આવતું નથી આ એક વાસ્તવિક ચિત્ર છે. ‘એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ’ ની કહેવત રાજકારણમાં ‘એવરીથીંગ ઈઝ ફેર ઈન પોલીટીક્સ – સ્પેશ્યલી ઈન ઈલેકશન’ને નામે જુદી રીતે પરિવર્તીત થઈ ગઈ છે. ભારતના રાજકારણની આજ એક બલિહારી છે તેની નોંધ તો લેવી જ પડશે.
અત્યારે જેનો સૂર્ય આથમી રહ્યો હોવાનું અને જે પક્ષ પરાજયની પરંપરા સહન કરવા ટેવાઈ ગયો છે તેવું રાજકીય વિશ્લેષકો દ્વારા જેમના માટે કહેવામાં આવે છે તે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તાજેતરમાં ઉત્તરપ્રદેશના સહરાનપુર ખાતે યોજાયેલી ખાપ મહા પંચાયતમાં હાજરી આપી સંબોધન કર્યું અને ખેડૂતોની વેદનાને વાચા આપતાની સાથે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય (યુપી) સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા. આવી રીતે ભરતપુરની પંચાયતમાં રાજસ્થાનના કદાવર નેતા સચિન પાયલોટ પણ હાજરી આપી સંબોધન કરવાના છે. જો કે આ બાબતમાં તો બન્ને નેતાઓ કોંગ્રેસની ખેડૂતોના આંદોલનને ટેકો આપવાની નીતિને અનુસરી રહ્યાં છે તે નવું નથી.
જ્યારે ગુરૂવારે પોષ વદ અમાસ હતી. મૌની અમાવાસ્યા હતી અને આ દિવસે ગંગા કે તેના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પૌરાણિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે. લાખો લોકો વિવિધ નદીઓમાં સ્નાન કરી ધન્ય થતા ંહોય છે. જ્યારે બિનસાંપ્રદાયિકતાના વાઘા પહેરીને ગર્વ અનુભવનાર કોંગ્રેસના મહાસચિવ અને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્રી કે જેઓ હાલ કોંગ્રેસના મહાસચિવ તો છે જ અને સાથોસાથઉત્તર પ્રદેશનો હવાલો પણ સંભાળે છે, તેમણે ગંગામાં સ્નાન કર્યું, ડૂબકી લગાવી અને મંદિરમાં પૂજા પણ કરી. તે વખતે અસંખ્યા યાત્રાળુઓ આ રાજકીય હસ્તિએ જ્યાં પૂજા-અર્ચના કરી તે ચંદનઘાટ ખાતે હાજર હતા. આમ હવે કોંગ્રેસને ધાર્મિકતાનો સહારો લેવો પડ્યો છે તેવી ટકોર પણ કેટલીક ટીવી ચેનલોમાં આ સમાચાર દર્શાવતી વખતે કરી. જો કે ગંગામાં સ્નાન બાદ ડૂબકી લગાવ્યા બાદ પ્રિયંકા ગાંધી – વાડ્રાએ થોડા અંતર સુધી હોડીને હલેસા પણ માર્યા હતા. એટલં જ નહિં પરંતુ યુપીમાં એક દરગાહમાં દુઆ પણ કરીને પોતાની બિનસાંપ્રદાયિક છબી જાળવી રાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેવું અખબારી અહેવાલો કહે છે.
જો કે ભૂતકાળમાં ગુજરાતની ચૂંટણી વખતે પ્રિયંકા ગાંધીના ભાઈ રાહુલ ગાંધીએ પણ ગુજરાતના વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના અને આરતી કરી હતી તે વાત પણ જગજાહેર છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી. ભૂતકાળમાં ઈન્દિરા ગાંધીએ પણ મંદિરોની મુલાકાત અવારનવાર લેતા હતા તે પણ જગજાહેર વાત છે તેથી પોતાની દાદીના માર્ગે પૌત્રી ચાલે તો એમાં કશું નવું નથી. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની લોકપ્રિયતાનો ગ્રાફ સાવ તળિયે છે. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં માત્ર બે બેઠકો જીતનાર કોંગ્રેસની તાકાત ઘટીને માત્ર એક જ બેઠકની થઈ ગઈ છે. એક માત્ર કોંગ્રેસના ઈન્ચાર્જ અધ્યક્ષ, શ્રીમતી સોનિયા ગાંધી જ એકમાત્ર લોકસભામાં યુપીના કોંગ્રેસી પ્રતિનિધિ છે જ્યારે તેમના પુત્ર રાહુલ ગાંધીને પણ અમેઠીમાં હારવં પડ્યું છે. જ્યારે ૨૦૧૭માં યોજાયેલી યુપી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે અખિલેશ યાદવ અને મુલાયમસિંઘ યાદવના પક્ષ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હોવા છતાં માત્ર સમ ખાવા પૂરતી ૭ બેઠકો મળી. કોંગ્રેસે ૧૦૦ બેઠકો લડીને ૪૦૦ સભ્યોની યુપી વિધાનસભામાં માત્ર સાત બેઠકો મળી હતી. ટૂંકમાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું સ્થાન ભાજપ સપા અને બસપા પછી ચોથા સ્થાને છે અને ઘણા વખતથી આ ક્રમ ચાલ્યા આવે છે. ૧૯૮૫માં કોંગ્રેસે લોકસભામાં ૯૦ ટકા બેઠકો જીતી હતી પરંતુ ૧૯૯૦ બાદ ત્યાં તેના સફાયાની શરૂઆત થઈ જે આજની તારીખ સુધી યથાવત રહી છે.
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો જનાધાર ઘટ્યો છે તો તેની સાથે તેનું સંગઠન પણ લગભગ નામશેષ થઈ ગયું છે. છેલ્લા ૧૯ વર્ષના સમયગાળામાં તો ઘણા ટોચના આગેવાનોએ કોંગ્રેસ છોડી દીધી છે અને ભાજપ કે બસપામાં ગોઠવાઈ ગયા છે. ઉત્તરપ્રદેશના રાજકારણમાં એક સમયે જેની બોલબાલા હતી તે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં પણ પ્રધાનપદ સંભાળી ચૂકેલા નેતા હેમવતીનંદન બહુગુણાના પુત્રી રીટા બહુગુણા જોશી કે જે ૨૦૧૪માં લખનૌની બેઠક પર રાજનાથસિંહ સામે ચૂંટણી પણ લડ્યા હતાં એટલું જ નહી પરંતુ લાંબા સમય સુધી કોંગ્રેસનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું. તેમણે ૨૦૧૮ના પ્રારંભમાં યોજાયેલી યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને અલવિદા કરી ભાજપનો ખેસ પહેર્યો અને લખનૌમાંથી જ પોતાની જૂની વિધાનસભા બેઠક લખનૌમાંથી સમાજવાદી પક્ષના ખેરખાં મુલાયમસિંહ યાદવના પૂત્રવધૂ અર્પરા યાદવને હરાવીને વિજેતા બન્યા હતા એટલં જ નહિ પણ તેમને પક્ષપલ્ટા અને લખનૌની બેઠક પર જીત મેળવવા બદલ શીરપાવ મળ્યો હોય તેમ હાલ તેઓ ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં મહત્ત્વનું સ્થાન પણ ભોગવી રહ્યા છે તે હકિકત છે.
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવું એ સૌથી મોટો પડકાર છે અને હવે તો ત્યાં દિલ્હીમાં સતત બીજીવાર બે તૃતિયાંશ કરતા વધુ બહુમતીથી ચૂંટણી જીતી શાસન વધુ બહુમતિથી ચૂંટણી જીતી શાસન કરી રહેલ અને જેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઉંચો આવી રહ્યો છે તે અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીએ પણ યુપીમાં પગેપેસારો કર્યો છે. સંગઠન બનાવ્યું છે અને યુુપી વિધાનસભાની ૨૦૧૮માં યોજાનારી ચૂંટણીમાં સક્રિયતાથી ભાગ લેવાનું પણ નક્કી કર્યું છે. હવે કોંગ્રેસ જો ન જાગે તો કોંગ્રેસની તાકાત હજી પણ ઘટે અને તે યુપીમાં પાંચમાં સ્થાને પહોંચી જાય તેવો ભય ઘણા રાજકીય નિરિક્ષકોએ વ્યક્ત કર્યો છે. આ જેવી તેવી વાત તો નથી જ. પ્રિયંકા ગાંધીએ યુપીમાં કોંગ્રેસની હાલત સુધારવા તો ઠીક પણ અસ્તિત્વ ટકાવવા માટે સક્રિય જવાબદારી લીધી છે. ત્યારે તેને નિભાવવા માટે શપથ લીધા છે. ત્યારે તેમણે લોકોમાં કોંગ્રેસની છબી સુધારવા સોફ્ટ હિંદુત્વનું કાર્ડ ખેલ્યું છે. ભાજપના રામમંદિરના કાર્ડ સામે ટકી રહેવા ધર્મનું કાર્ડ ખેલ્યું છેઅથવા તો ધર્મમ્ શરણમ્ ગચ્છામી કર્યું છે. યુપીમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના આશીર્વાદ લેવા પાછળ પણ તેમનો આ જ હેતુ છે પણ રાજકીય વિવચકો એક પ્રશ્ન પૂછે છે કે યુપીમાં કોંગ્રેસની નૈયાને પ્રિયંકા ગાંધી વિજયની નદી સુધી પહોંચાડી શકશે ખરાં ?
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ
Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો
covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….
ગુજરાત / ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…