વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન રહેતા, ગુરુકૃપાથી રચનાત્મક બની છે. ગઇ કાલે પૂજ્ય બાપુએ જાહેર કરેલું એ મુજબ મહુવાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકુટધામ, તલગાજરડા દ્વારા થઇ રહી છે. ઉપરાંત પૂજ્ય મોરારી બાપુએ આજની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજન, ઇંજેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી. એમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવાકર્મીઓ તરફથી પાંચ લાખની વિત્તજા સેવાની જાહેરાત કરી.
બાકીના ૯૫ લાખ આગામી દિવસોમાં જેના તરફથી વિત્તજા સેવા રૂપે મળશે, એ એક કરોડ રૂપિયા પૈકી પચ્ચીસ પચ્ચીસ લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા – એ ચાર તાલુકામાં કોરોના સંદર્ભમાં જે પ્રમાણે જરૂરીયાત હશે એ પ્રમાણે યથાયોગ્ય રીતે વાપરવામાં આવશે.
આપણે આપણાં સ્તરેથી જે કાંઈ કરી શકતા હોઈએ, એ કરી છૂટવાના ભાવ સાથે પૂજ્ય બાપુએ અશ્રુપૂર્ણ શબ્દોમાં વ્યાસપીઠની રચનાત્મક સેવાની જાહેરાત કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો તરખાટ મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસના આંકમાં મસમોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંક 4 લાખને વટાવી ગયો છે. અને છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ૧૦૦૦૦ + કેસ નોધાઇ રહ્યા છે. વિવિધ જીલ્લામાં કોરોના ટેસ્ટીંગ કીટ થી માંડી કોરોનાની દવા, રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની તંગીના સમાચારો સામે આવી રહ્યા છે.