વાઈબ્રન્ટ સમિટનું આજે સમાપન થશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપી હતી. દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં બુલેટ ટ્રેનને લઈને મહત્વની માહિતી આપતા જણાવ્યું કે દેશમાં ટૂંક સમયમાં મુંબઇ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન શરૂ થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોરીડોર માટે જમીન સંપાદનનું 100 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી સમયમાં પ્રોજેક્ટના સ્ટ્રકર્ચ મામલે ઝડપી કાર્યવાહી હાથ ધરાશે. જેના બાદ દેશમાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડી શકે છે.
NHSRCLને સોંપાઈ જવાબદારી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ને સોંપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે કુલ કુલ 1389.49 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. રેલ્વે મંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી કે દેશના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 100 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોના અંતરને ઘટાડતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું મહત્વનું કાર્ય પૂર્ણ થતા હવે સ્ટ્રકચર્સ સંબંધિત સેવામાં શ્રેષ્ઠ કામગીરી પૂર્ણ કરી શક્ય તેટલી વહેલી તકે બુલેટ ટ્રેન દોડાવાનો પ્રયાસ કરાશે.
આ સ્થાનો પર ચાલી રહ્યું છે નિર્માણ કાર્ય
ગુજરાતમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મહત્વના શહેરો એવા સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતીમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે મુંબઈ અને અમદાવાદ વચ્ચે 8 નદી પર પુલ બનાવવામાં આવ્યા છે અને 272 કિલોમીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સાબરમતી ખાતેના ટર્મિનલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે જ્યારે મુંબઈમાં બીકેસી કોમ્પ્લેક્સના પાયાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 2026માં મુંબઈ-અમદાવાદ વચ્ચેના સેક્શનમાં બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ થશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા આવેલા રેલ્વે મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે કાર્યરત થશે.
જમીન સંપાદનના અવરોધથી થયો વિલંબ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2016 માં અસ્તિત્વમાં આવ્યો અને 2017 માં શિલાન્યાસ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ જમીન સંપાદનમાં અવરોધોને કારણે તેમાં વિલંબ થયો હતો. જોકે, હવે જમીન સંપાદનની 100 ટકા કામગીરી પૂર્ણ થતા અનેક વિભાગોમાં બાંધકામની કામગીરીની ગતિ તેજ કરાશે. જો કે, આ ટ્રેન ક્યાં સુધી સમગ્ર રૂટ પર ચાલશે તેની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પ્રથમ વખત જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બે રાજ્યો વચ્ચે મુસાફરી ઝડપી બનશે
મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનની કુલ મુસાફરી 508 કિલોમીટરની રહેશે. બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે. બંને શહેરો વચ્ચેની મુસાફરીમાં 2 કલાક 7 મિનિટનો સમય લાગશે. હાલમાં આ અંતર ટ્રેન દ્વારા લગભગ 5 કલાકમાં કાપવામાં આવે છે. આ 508 કિલોમીટરના રૂટમાં 348 કિલોમીટર ગુજરાતમાં જ્યારે 156 કિલોમીટર મહારાષ્ટ્રમાં હશે. બુલેટ ટ્રેનના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો વચ્ચેની મુસાફરી ઝડપી બનશે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો: