@જગત કિનખાબવાલા, સ્પેરો મેન
પાનખર ઋતુ સિવાય બાકીનું આખા વર્ષ દરમ્યાન આ વૃક્ષ લીલું છમ્મ રહે છે જે સૂકાભટ રણપ્રદેશમાં આંખોને તાજગી બક્ષે છે. રાજસ્થાનના મારવાડ જેવા રેતાળ ને રણપ્રદેશમાં, ગુજરાતના છેવાડાના બનાસકાંઠાના રાજસ્થાનની સીમા નજીક વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબના સૂકા વિસ્તારમાં થતું આ એક વૃક્ષ અજાયબીઓથી ભરેલું છે. તે સિંધ,બલુચિસ્તાન અને સાલ્વાડોરમાં પણ સારી રીતે થાય છે. તેની મહત્તા તેની સર્વાંગી સુંદરતા, તેના સુંદર ફૂલ, ઔષધીય તત્વ, પશુ પક્ષીને છાંયો તેમજ ખોરાક અને ઇમારતી લાકડામાં સમાયેલ છે. વૃક્ષને ફૂલથી ભરેલું જુવોતો શુષ્ક્તા ઉડાડી દે! રણપ્રદેશમાં થતું આ વૃક્ષનું લાકડું ખુબજ ટકાઉ, મજબૂત અને સુંદર હોય છે. તે રણપ્રદેશના સાગ તરીકે ઓળખાય છે. આ લાકડાનો ઉપયોગ મુખ્યત્વે ભગવાન અને દેવ-દેવીની પ્રતિમાજી બનાવવામાં તેમજ મંદિરનો દ્વાર અને બારસાખ વગેરે બનાવવામાં વપરાતું હોઈ લોકો આ વૃક્ષને પવિત્ર માને છે અને કાપતાં નથી. કુદરતી રીતે જે વૃક્ષ પડી ગયું હોય તેવા વૃક્ષના લાકડાનો ઉપયોગ મંદિર વગેરેના કામમાં લે છે. ગુજરાતમાં ખોડિયાર ગામમાં ચોટીલા પાસે સુપ્રસિદ્ધ સધી માતાજીનું મંદિર છે તેની માતાજીની પ્રતિમાજી રોહીડાના કાષ્ટમાંથી બનાવેલી છે.
રગત રોહીડાનું ફૂલ ૧૯૮૩ ની સાલથી રાજસ્થાન રાજ્યનું રાજય ફૂલનું બિરુદ પામેલું છે. તેનું ફૂલ, પાંદડા અને ડાળીઓ રણપ્રદેશના પશુપક્ષીઓનો ખોરાક છે. આ સુંદર ફૂલ લાલ, નારંગી અને પીળા એમ ત્રણ રંગના ચમકતા હોય છે અને જ્યારે પૂરબહારમાં ખીલે ત્યારે રંગોનું તોફાન જોવા મળે છે. તેમાં પણ જ્યારે ત્રણ રંગના ફુલોવાળા તેના વૃક્ષ એક સાથે ઉગેલા હોય ત્યારે શોભામાં ચાર ચાંદ લાગી જાય છે.
રોહીડાનું વૃક્ષ ઘણી બધી ઔષધીય તત્વોથી ભરેલું છે. વૃક્ષની છાલમાંથી સિફિલિસ રોગની સારવાર થઇ શકે છે જ્યારે તેના મૂળમાંથી કિડની અને પેશાબને લાગતાં રોગોની સારવાર કરવા માટે વપરાય છે. માનવીના શારીરિક અંગ બરોળની સારવાર માટે ઉત્તમ ઔષધ બની રહે છે. ઔષધીય તત્વોને કારણે પશુ પક્ષીને પણ ખોરાકમાં તેવા તત્વોના રાસાયણિક ગુણધર્મો ઉપયોગી બની રહે છે.
રણ પ્રદેશના પરિસ્થિતિ વિજ્ઞાન/ Ecology માટે બહુ અગત્યનું વૃક્ષ છે. ખુબજ ઓછા અને ખુબજ ઊંચા ઉષ્ણતામાન સહન કરવાની વિશિષ્ટ શક્તિ ધરાવે છે. માઇનસ (૨) ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલી ઠંડી અને (૫૦) ડિગ્રી સેન્ટગ્રેડ જેટલી વિસમ ગરમી સહન કરી શકે છે. દુકાળના સમયમાં તેમજ રણની આંધી, વાવાઝોડા વગેરેનો સામનો સારી રીતે સહન કરી લે છે. રણના રેતાળ પ્રદેશમાં અને રેતીના ઢળાવ ઉપર પણ આ વૃક્ષ સારી રીતે ઉછરે છે. તેના મૂળ ખુબ સારી રીતે માટી બંધનકર્તા/ soil binding છે જે કારણે તે રેતાળ જમીનમાં ટકી રહે છે.
રગત રોહીડા આટલું સુંદર વૃક્ષ હવે નામશેષ થશે તેવો ડર સતાવી રહ્યો છે. વિકાસની દોટમાં દરેક જગ્યાએ વૃક્ષ ઓછા થઇ રહ્યા છે. આ વૃક્ષોને જાળવવા અને તેમની સંખ્યા વધારવાની તાતી જરૂરિયાત છે. પર્યાવરણની જાળવણી બહુ અગત્યની છે અને તેમાં આ અને આવા બધા જીવને સાથે લઈને સહઅસ્તિત્વમાં જીવવું પડે. સહઅસ્તિત્વ સાથે જે વિકાસ કરીએ તેને સાચો વિકાસ કહેવાય. હાલમાં અમે ભીમાસર કચ્છમાં એક બગીચો વિકસાવી રહ્યા છીએ જેમાં નામશેષ થઇ રહેલા વૃક્ષ ઉગાડી રહ્યાં છીએ. અહીં જે લાલ ફૂલ વાળા છોડ નો ફોટો છે તે બગીચાનો છે. જે નારંગી રંગના ફૂલ વાળો ફોટો છે તે બનાસકાંઠાના બીજા કાર્ય ક્ષેત્રનો છે જ્યારે પીળાશ ઉપરના ફૂલનો ફોટો અમદાવાદ પાસેના મિત્ર ગીરીશભાઈ આદેસરા ના થોર તળાવ, અમદાવાદના ફાર્મ ઉપર ઉછેરેલા વૃક્ષનો છે.
(ફોટોગ્રાફ્સ લેખકના કામના સ્થળેથી).
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve