મુનિર પઠાન,મંતવ્ય ન્યુઝ-ભરૂચ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨ મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું આજે તા.૨૦ મી ના રોજ નવમા દિવસે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ખાતેથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે આગમન થયું હતું. કારેલી ગામે પ્રવેશેલી દાંડીયાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રી ડો. એમ.ડી. મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવિંદ વિજયન, રાજ્યના પૂર્વ મંત્રીશ્રી છત્રસિંહ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અલ્પાબેન પટેલ, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંગ ગોહિલ, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર, જિલ્લા પંચાયતમાં પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત અધિકારીઓ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મહાનુભાવોએ યાત્રીઓનું સૂતરની આંટી પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
વર્ષ ૧૯૩૦ માં દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું ૨૦ મી માર્ચ, ૧૯૩૦ ના રોજ જંબુસર તાલુકાના કારેલી ગામમાં આગમન થયું હતું. એ દિવસે ગાંધીજી સાથે ૭૯ પદયાત્રિકોએ નાવડીમાં સવાર થઈને બોરસદ તાલુકાના કંકાપુરા ગામથી કારેલી ગામ વચ્ચે આવેલી મહીસાગર નદીને હોડીમાં બેસી પાર કરી કરી હતી. આ ઐતિહાસિક ક્ષણે ગ્રામજનોએ ગાંધીજી અને પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. કઈંક આવો જ માહોલ આજે કારેલી ગામમાં જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દાંડીયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલાં ગ્રામજનો જ્યારે યાત્રીઓ મહીસાગર નદી પાર કરીને સવારે ૧૦:૩૦ વાગ્યે કારેલી ગામના પાદરમાં આવી પહોંચ્યા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સાથે ગામલોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ગામની બાળાઓએ ફૂલ પાંદડીઓ વડે તમામ યાત્રિઓને વધાવ્યા હતા. ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ની સુરાવલિથી માહોલ સામાજિક ચેતના અને દેશભક્તિસભર બન્યો હતો.
દાંડીયાત્રાના સર્વે યાત્રિકોનુ ડીજે, બેન્ડ, ઢોલના નાદ સાથે શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી કળશ સાથે સ્વાગત કર્યુ હતુ. દાંડીપથની બન્ને બાજુએ ગ્રામજનોએ હરોળમાં ઉભા રહી દાંડીયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી હતી. ‘ભારત માતા કી જય’ અને ‘ગાંધીજી અમર રહો’ ‘આઝાદી અમર રહો’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનોએ યાત્રાનું સ્વાગત અને સત્કાર કારેલી પ્રાથમિક સ્કુલ ખાતે કર્યું હતું. ત્યારબાદ ગાંધી આશ્રમ કારેલી ખાતેના વિશ્રામ સ્થળ ખાતે દાંડીયાત્રિકોએ ભોજન લીધા બાદ વિશ્રામ કર્યો હતો.
કારેલી ગામના ૭૫ વર્ષીય વડીલ મનુભાઈના પિતા દાંડી યાત્રામાં સામેલ થયા હતા
જંબુસર તાલુકાના કારેલી ગામના ૭૫ વર્ષીય મનુભાઈ ગોરધનભાઈ પઢિયારના પિતાજી સ્વ.ગોરધનભાઈ પઢિયાર પણ દાંડીયાત્રામાં સામેલ થયા હતાં. મનુભાઈ રાજ્ય સરકાર પ્રેરિત દાંડી યાત્રા ગામમાં આગમન થતાં ખૂબ ખુશી અને ગર્વ અનુભવે છે. તેઓ જણાવે છે કે, તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સ્વ. પિતાજીને અમદાવાદ ખાતે તામ્રપત્ર અર્પણ કરી આજીવન વર્ષાસન બાંધી આપ્યું હતું. મારા ઘરે આજે પણ આ તામ્રપત્ર સચવાયું છે. પિતાજી અમને દાંડી યાત્રા અને ગાંધીજી સાથેની ઐતિહાસિક સમય પસાર કર્યો એના સંસ્મરણો અવારનવાર કહેતા. એ સમયે દાંડી યાત્રાના અનુભવો અંગેનું વર્ણન સાંભળી ખૂબ ગર્વની લાગણી થતી. જે આજે પણ યાદ કરૂં છું તો આંખો ભરાઇ આવે છે એમ તેઓ જણાવે છે.
કારેલીના નાનકડા બાળકે ‘બાળ ગાંધી’ બની ગાંધીજીને તાદ્રશ્ય કર્યા
કારેલી ગામના ૧૦ વર્ષીય નૈતિક પ્રેમશરણભાઈ પટેલે ગાંધીજીની વેશભૂષા ધારણ કરી યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. તેણે અદ્દલ ગાંધીજી જેવા દેખાવા મુંડન પણ કરાવ્યું હતું. કારેલીના નાગજી ખડકીમાં રહેતા અને કરખડી ગામે શાયોના સ્કુલમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતાં નૈતિક પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી દાંડીયાત્રા લઈને અમારા ગામમાં આવ્યા હતા એ અમે શિક્ષકો અને વડીલો પાસેથી સાંભળીએ છીએ. શાળાના પાઠય પુસ્તકોમાં પણ ગાંધીજીના પાઠ ભણીએ છીએ, ત્યારે અમારા શિક્ષક સાહેબ ગાંધીજીએ દેશ માટે જીવનનું બલિદાન આપ્યું, આઝાદીની લડાઈમાં દેશ ને એક કર્યો અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢ્યા એ વિશે ખૂબ રસથી ભણાવે છે. આ વાતો સાંભળી અમને ખૂબ પ્રેરણા મળે છે. ગાંધી બાપુ કેટલા મહાન હતા એ જાણ્યું ત્યારથી તેઓ મારા પ્રિય નેતા બન્યા છે. મારા ગામમાં દાંડી યાત્રા આવવાની હોવાથી માતાપિતાની પ્રેરણાથી ગાંધીજીની વેશભૂષા ધારણ કરી છે.