કલકત્તા,
શનિવારથી શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની મેચ સાથે જ એશિયા કપનો પ્રારંભ થઇ રહ્યો છે. જો કે ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં પોતાનો આગાજ ૧૮ સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ સામે રમાનારા મુકાબલા સાથે કરવાની છે, પરંતુ આ પહેલા જ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક ભવિષ્યવાણી કરી છે.
સૌરવ ગાંગુલીનું માનવું છે કે, “ટીમના કાર્યકારી રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ એશિયા કપમાં ૭મી વાર ચેમ્પિયન બની શકે છે”.
ભારત એશિયા કપ જીતવા માટે છે સક્ષમ
ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે, “ભારતીય ટીમ ભલે ઈંગ્લેંડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હોય પરંતુ માર્યાદિત ઓવરોમાં તે ટોચની ટીમ છે. ટીમમાં વિરાટ કોહલી હોવાથી ટીમમાં મજબૂતી આવે છે, પરંતુ રોહિતનો કેપ્ટન તરીકે પણ સારો રેકોર્ડ છે. જેથી મને આશા છે કે, ટીમ તેઓના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કરશે અને તે એશિયા કપ જીતવા માટે સક્ષમ છે”.
મહત્વનું છે કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભારે વર્કલોડના કારણે આ ટુર્નામેન્ટમાં આરામ આપવામાં આવ્યો છે અને રોહિત શર્માને ટીમની કમાન સોપવામાં આવી છે.