સાઉથમ્પ્ટન,
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને ૬૦ રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ હાર સાથે જ ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે. જો કે આ હાર બાદ પણ ઈંગ્લેંડની ટીમના કેપ્ટન જો રૂટે વિરાટ બ્રિગેડની પ્રશંસા કરી છે.
ભારત સામેની ૫ મેચના કારણે ટેસ્ટ ક્રિકેટ છે જીવિત
ચોથી ટેસ્ટમાં શાનદાર વિજય મેળવ્યા બાદ જો રૂટે જણાવ્યું કે, “ભારત વિરુધ રમાઈ રહેલી ૫ ટેસ્ટ મેચની શ્રેણીથી જોવા મળી રહ્યું છે કે, ક્રિકેટનું સૌથી લાંબું ફોર્મેટ હજી જીવિત છે અને ખુબ શાનદાર છે”.
અંગ્રેજ કેપ્ટને કહ્યું, “મને લાગી રહ્યું છે કે, આ ટેસ્ટ ક્રિકેટ માટે સૌથી સારા સંકેત છે. જેથી મને ખબર પડી રહી છે આ ફોર્મેટ હજી જીવિત છે”.
વિરાટબ્રિગેડે અત્યારસુધીમાં રમી છે શાનદાર ક્રિકેટ
ભારતીય ટીમની પ્રશંસા કરતા તેઓએ જણાવ્યું, “ટેસ્ટ ક્રિકેટ અંગેનો તમામ શ્રેય ભારતીય ટીમને જાય છે. ન માત્ર એક મેચમાં પણ સમગ્ર સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ અત્યારસુધીમાં શાનદાર ક્રિકેટ રમી છે. અહીયાના લોકોને આ પહેલાની મેચ અને ચોથી ટેસ્ટ મેચ જોવી ખુબ સારી લાગી હશે અને આ જોઇને લાગ્યું હશે કે કેટલા સંઘર્ષપૂર્ણ મુકાબલા થઇ રહ્યા છે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “આ મેચમાં જીત અને હાર ખુબ નજીક રહી હતી અને અંત સુધી આ જાણવું મુશ્કેલ હતું કે કઈ ટીમ આ ટેસ્ટ મેચ જીતશે. મેચમાં યજમાન ટીમને જીતનો ભરોષો હતો, કારણ કે દુનિયાની નંબર ૧ ટીમ (ભારત)ને પોતાના બોલિંગ આક્રમણથી પ્રથમ ઇનિંગ્સમાં ૨૭૩ અને બીજી ઇનિંગ્સમાં ૧૮૪ રન પર જ ઓલઆઉટ કરી હતી.
ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકવું હતું મુશ્કેલ
રૂટે કહ્યું હતું કે, જયારે હું બેટિંગ કરવા માટે આવ્યો હતો ત્યારે મને લાગ્યું હતું કે વિરોધી ટીમને આપવા માટે ૧૯૦ રનનો સ્કોર ખુબ સારો હશે, પરંતુ અમારી ટીમે ૨૩૦ – ૨૪૦ રન સુધી પહોચાડ્યો હતો એ ટીમના વિજય માટે સારો રહ્યો હતો.