વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર પટેલ જયંતિના દિવસે કેવડિયા ખાતે હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના હોવાથી દરવર્ષની જેમ આ વર્ષે પણ કેવડિયા પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 28 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બર,2021 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય કેવડિયાના પ્રવાસન સ્થળો બંધ રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ઓનલાઈન ટિકિટના વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગેની જાહેરાત તેમની વેબસાઈટ પર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રો
જ સાંજે કેવડિયા ખાતે પધારી મા નર્મદાની આરતી ઉતારશે અને ઘાટનું લોકાર્પણ કરશે. 31 ઓક્ટોબરના રોજ દરવર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.
દર વર્ષે પીએમ મોદીના કેવડિયામાં આગમન સમયે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો પ્રોટોકોલ પ્રમાણે બંધ કરી દેવામાં આવે છે. વડાપ્રધાન મોદીની આ વખતની મુલાકાત સમયે પણ કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રહેશે.
નોંધનીય છે કે , અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ભારત સરકારના આંકડાઓ અનુસાર, ગત માર્ચ-2020માં (કોરોનાકાળ પહેલાં) સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ હતી, જેની સામે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને જોવા દરરોજ સરેરાશ 10,000 પ્રવાસી જતા હતા.