મુંબઈમાં જેમ આજથી ૨૦ વર્ષ પહેલાં ૫૦ થી વધુ ગેંગ સક્રિય હતી અને તે ગેંગના લોકો મુંબઈમાં જેમ ગુનાખોરી આંચરતા હતા તેવી જ નવી નવી ગેંગ અમદાવાદમાં ઊભી થતી જઈ રહી છે. અમદાવાદ જાણે ગુજરાતનો ગુનાહિત હબ માટે જાણીતો બનતો જઈ રહ્યો હોય તેમ શહેરમાં ગુનાખોરી બેફામ વધતી જઈ રહી છે.
અમદાવાદના જુહાપુરા સરખેજ બાદ દાણીલીમડામાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતી ગેંગનો ત્રાસ સામને આવ્યો છે.
જમાલપુર કાંચની મસ્જિદ પાસે રહેતા અને ટ્રાવેલ્સ નો ધંધો ધરાવી પોતાનો ગુજરાન ચલાવતા ઈરફાન ભાઈ શેખની ચંડોળા પાસે કેજીએન નામનો એસ્ટેટ આવેલું છે. જે એસ્ટેટ માં ગઈ કાલે દાણીલીમડા નો કુખ્યાત જબ્બાર ગાંડી , વિષ્ણુ ઠાકોર અને નુર આલમ છોટુ મિયાં સહિતના ત્રણ ઈસમો ત્યાં પહોંચી જઈને તેમણે ઈરફાન ભાઈને ધમકાવતા જણાવ્યું હતું કે, “તમે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી રહ્યા છો, અમને બધું ખબર છે, પૈસા આપવા જ પડશે, નહિ આપો તો સારું નહિ થાય, ખબર છે ને હું જબ્બાર ગાંડી છું મારી સામે હત્યાનો ગુનો પણ છે, પૈસા નહીં આપો તો આ હું આખા એસ્ટેટની વિડીયો ઉતારીને ન્યૂજમાં આપી દઇશ અને તમારા ત્યાં કોર્પોરેશન ની રેડ પડાવીશ”
જબ્બાર ગાંડી ગેંગએ વેપારી સાથે બળજબરી પૂર્વક પૈસા પડાવાની કોશિશ કરતા વેપારીએ પોલીસ બોલાવાની વાત કરતા ત્રણેય ઈસમોએ તે વેપારીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ત્રણેય ની મારથી બચવા માટે વેપારીએ આજુબાજુમાં બૂમો પાડીને લોકોને એકત્ર કરતા ત્રણેય ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા. વેપારીએ તાત્કાલિક દાણીલીમડા પોલીસને બોલાવીને જબ્બાર ગાંડી સામે ગેરકાયદેસર રીતે મિલકતમાં પ્રવેશવાનો ગુનો , મારામારી અને બળજબરી પૂર્વક પૈસા પડાવી લઈને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે , દાણીલીમડામાં જબ્બાર ગાંડી ગેંગનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી વધતો જ જઈ રહ્યો છે. જેની સામે સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા જબ્બાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેના કારણે લોકોમાં દાણીલીમડા પોલીસને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે.