દશેરાના શુભ અવસર પર ઉત્તરાખંડમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આદિ કૈલાશના દર્શન કરીને પરત ફરી રહેલા મુસાફરોની ટેક્સી નેશનલ હાઈવે પર ઉંડી ખાઈમાં પડી હતી. માર્ગ અકસ્માત બાદ ટેક્સીમાં મુસાફરી કરી રહેલા છ લોકો ગુમ થયા છે. પોલીસ અને એસડીઆરએફની ટીમો ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે, પરંતુ મંગળવારની મોડી રાત સુધી કોઈનો પત્તો લાગ્યો ન હતો. આ અકસ્માત ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પિથોરાગઢમાં ધારચુલા-લિપુલેખ નેશનલ હાઈવે પર એક ટેક્સી ઊંડી ખાઈમાં ખાબકી હતી.
અકસ્માત સમયે કારમાં ડ્રાઈવર સહિત છ લોકો સવાર હતા. અકસ્માત બાદ તમામ છ લોકો ગુમ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુમ થયેલા પાંચ લોકો આદિ કૈલાશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ઘટનાના પાંચ કલાક બાદ પણ ગુમ થયેલા લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના મંગળવારે ધારચુલા તહસીલ હેડક્વાર્ટરથી 23 કિલોમીટર દૂર પાંગલા ટેમ્પા મંદિર પાસે થઈ હતી. એક સ્થાનિક વ્યક્તિ તેની ટેક્સીમાં પાંચ આદિ કૈલાશ યાત્રાળુઓ સાથે ગુંજીથી ધારચુલા જવા નીકળ્યો હતો.
પાંગલા પોલીસની સાથે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે સ્થાનિક લોકો અને SSB સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ સુધી ગુમ થયેલા લોકોનો કોઇ પત્તો લાગ્યો ન હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી ટીમ લાપતા લોકોને શોધવામાં વ્યસ્ત હતી. મોડી રાત્રે કોઈ સુરાગ ન મળતાં છ લોકોના મોત થયા હોવાની આશંકા છે. જો કે હજુ સુધી માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંકને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.