ગયા મહિને નવેમ્બરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક ડૉક્ટર ગાયનું છાણ ખાતા જોવા મળ્યા હતા. જેમનો ઈન્ટરનેટ પર વીડિયો ખૂબ વાયરલ થયો હતો. હવે સોશિયલ મીડિયા પર ગાયનું છાણ ખાનારા આ ડોક્ટર વિશે દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા દાવામાં બે તસવીરો બતાવવામાં આવી રહી છે. પ્રથમ તસ્વીરમાં એક માણસ હોસ્પિટલમાં પડેલો જોવા મળે છે, જ્યારે બીજી તસ્વીરમાં ડોકટર ગાયનું છાણ ખાતા જોવા મળે છે.
આ પણ વાંચો – ગાંધીનગર / હેડકલાર્કનાં પેપર લીક કૌભાંડ મુદ્દે મંડળ ચેરમેન અસિત વોરાએ કરી સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવા મુજબ, ગાયનું છાણ ખાવાથી ડોક્ટરનાં આખા શરીરમાં ઈન્ફેક્શન થઈ ગયું છે, જેના કારણે ડોક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિગ બ્રેકિંગ ન્યૂઝ હરિયાણાનાં ફેસબુક પેજ પરથી લખવામાં આવ્યું છે કે કરનાલનાં MBBS ડૉક્ટર જે લોકોને ગાયનું છાણ ખાવાની સલાહ આપી રહ્યા હતા, તેમને ગાયનું છાણ ખાધા પછી પેટમાં ઈન્ફેક્શન થયું અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ તસવીર વાયરલ થવાની સાથે જ લોકોએ સોશિયલ મીડિયા પર ડૉ.મનોજ મિત્તલની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગ્યા કે હવે નકલી ડૉક્ટરનું દિમાગ ઠેંકાણે આવી ગયું હશે? બીજી તરફ ટ્વિટર યુઝર ડોક્ટર ગુલાટી એલએલબીએ લખ્યું કે, જે ડોક્ટરે ગાયનું છાણ ખાધું હતું તેને ચેપ લાગી ગયો છે, તેના આખા શરીરમાં ગાયનું છાણ ખાવાથી ઈન્ફેક્શન થઇ ગયુ છે. ઘણા લોકો આ જ દાવા સાથે આ તસવીરો વાયરલ કરી રહ્યા છે.
હવે તેના દાવામાં કેટલી સત્યતા છે તે જાણવા માટે એક ખાનગી સંસ્થાએ તપાસ કરી અને જાણવા મળ્યું કે, ‘બિગ બ્રેકિંગ ન્યૂઝ હરિયાણા’નો દાવો તદ્દન ખોટો છે. ડૉ. મનોજ મિત્તલને કંઈ થયું નથી, તેઓ સંપૂર્ણપણે ફિટ છે અને કરનાલમાં દર્દીઓ અને ગાયોની સેવામાં લાગેલા છે. વાયરલ તસવીર તેમની નથી, પરંતુ તસવીરમાં દેખાતા વ્યક્તિનું નામ બિધાન થાપા છે, જેઓ નેપાળનાં રહેવાસી છે. જેના વિશે AFPએ ફેબ્રુઆરીમાં લોકોને જાણ કરી હતી, તે સમયે બિમાર હોવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. AFPએ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી વાયરલ તસવીરનું સત્ય લોકો સમક્ષ રજૂ કર્યું છે.