દિલ્હી,
ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો સામે આવ્યા પછી દેશમાં ભાજપની સ્થિતિ નબળી પડતી જણાઇ રહી છે. ભાજપની નબળી સ્થિતિનો લાભ હવે તેના નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ(એનડીએ) સાથી પક્ષો લઇ રહ્યાં છે તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.બિહારમાં આગામી લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વ નીચે એનડીએના ગઠબંધનમાં રામ વિલાસ પાસવાનની એલજેપી 6 સીટો માંગીને ઉભી રહી છે. બિહારમાં સાથી પક્ષો ભાજપને દબાવી રહ્યાં છે તેવું સ્પષ્ટ લાગે છે.
બિહારમાં ભાજપ અને નીતિશ કુમારની જેડીયુ 17-17 બેઠકો પર લડશે જ્યારે પાસવાનની એલજેપી 6 બેઠકો પર ચૂંટણી લડશે.2014માં બિહારમાંથી ભાજપ 22 સીટો પર જીતી હતી,પરંતું આ વખતે તેણે પાંચ ઓછી સીટોથી સમજુતી કરવી પડશે.
બિહારમાં એલજેપીને 6 લોકસભા બેઠકો સાથે એક રાજ્યસભા બેઠક પણ મળશે તેની સામે 2014માં બિહારની 22 બેઠકો પર પોતાનો ઝંડો ફરકાવનાર ભાજપ આ વખતે ફક્ત 17 બેઠકો પરથી જ ચૂંટણી લડશે.
ત્યારે સવાલ એ થાય છે કે શું તાજેતરમાં ત્રણ રાજ્યોમાં ભાજપની હારના કારણે તેના સાથી પક્ષોનું જોર વધી ગયું છે?
રાજ્યોમાં હાર પછી રામ વિલાસ પાસવાન અને એક સમયના સાથી ચંદ્રાબાબુ નાયડુએ પણ એનડીએ સાથે છેડો ફાડવાની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય એ પણ મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ઉપેન્દ્ર કુશવાહે તેમના પક્ષનો છેડો એનડીએ સાથે ફાડીને કોંગ્રેસ પ્રેરિત યુપીએ સાથે જોડી દીધો છે.બિહારમાં ભાજપે જીતેનરામ માંઝીને પણ ગુમાવી દીધા છે.
બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે અડધી અડધી બેઠકો પણ ચૂંટણી લડવા અંગે પહેલા જ જાહેરાત થઈ ગઈ હતી. પરંતુ અન્ય સહયોગીઓ વચ્ચે મડાગાંઠ ઉકેલાતી નહોતી. જોકે રવિવારે ઘીના ઠામમાં ઠામ પડી રહેતા પાસવાનને 6 બેઠકો આપીને મનાવી લેવામાં આવ્યા હતા.
હકીકતમાં બિહારમાં કુશવાહા અને જીતેનરામ માંઝીને ગુમાવી ચૂકેલ ભાજપને હવે બિહારમાં કોઈ સાથીનો સાથ છૂટે તે પાલવે તેમ નથી. તેવામાં 2019માં કેન્દ્રમાં બીજી વાર સત્તામાં આવવા માટે ભાજપે આ ત્યાગ કર્યો છે. 2014માં ભાજપ પોતાના દમ પર બિહારમાં 25 ટકા વોટ મેળવવામાં સફળ રહ્યું હતું. જ્યારે દેશમાં બધે જ મોદી લહેર હતી ત્યારે પણ બિહારમાં તેને કુલ વોટના 30 ટકાથી ઓછા વોટ મળ્યા હતા. ત્યારે 2019 માટે ભાજપને ખબર છે કે તેને સહયોગીઓની જરુર છે.
ભાજપનું માનવું છે કે, નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાન ગઠબંધનમાં રહેશે તો તે મજબૂત બનશે. આગામી વર્ષે ચૂંટણીમાં તેનાથી ફાયદો રહેશે. કેમ કે 2009માં જ્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસે ખૂબ સારુ પ્રદર્શન કર્યું હતું ત્યારે પણ બિહારમાં નીતિશ અને ભાજપની જોડી 32 બેઠકો પર કબ્જો જમાવવામાં સફળ રહી હતી.
એનડીએની બેઠકની વહેંચણીમાં ભાજપના નરમ વલણને લઈને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાએ નિશાન સાધ્યું છે. તેમણે ભાજપ અને જેડીયુના એક સમાન બેઠકો પર ચૂંટણી લડવાના નિર્ણયથી કહ્યું કે, 56 ઈંચની છાતીવાળા નીતિશ સામે નતમસ્તક થઈ ગયા છે