ભાવિશ્વ : ભાવિની વસાણી
જીવનમાં સશક્ત અને અશક્ત જે કંઈ દેખાય છે, તેનું કદી બારીકાઇથી નિરીક્ષણ કર્યું છે…? સામાન્ય રીતે સમાજમાં પદ, પ્રતિષ્ઠા અને પૈસા આ ત્રણ માપદંડો થકી લોકોની શક્તિ કે તાકાતનું મૂલ્ય આંકવામાં આવતું હોય છે. જ્યારે આ ત્રણ ન હોય તેઓ અશક્ત એવી માન્યતા પ્રવર્તમાન જોવા મળે છે. પરંતુ આ પદ,પ્રતિષ્ઠા અને પૈસા કેવી રીતે આવ્યા તેનો ઇતિહાસ જાણો, અને કઈ જગ્યા પર ઉપયોગમાં આવી રહ્યા છે? તેનો વર્તમાન જાણો, તે પછી જ કોઈ વ્યક્તિને સશક્ત તે અશક્ત માનવી જોઈએ એવું મારુ મંતવ્ય છે. ઘણી વખત સમાજમાં કહેવાતા કેટલાક સશક્ત લોકોની નજીક જઈને જુઓ તો ખરા ખરેખર કેટલા ખોખલા અને કંગાળ હોય છે? એવા લોકોની ટકાવારી ખૂબ ઓછી હોય છે કે જેઓ પદ, પ્રતિષ્ઠા અને પૈસા ત્રણેય હોવા છતાં જે બીજાને આદર-સત્કાર કરવાના સંસ્કાર ધરાવતા હોય. તેમજ બીજાની પરિસ્થિતિ સમજી શકવાની કે સહાનૂભૂતિ દર્શાવવાની વૃત્તિ ધરાવતા હોય.
ઘણી વખત લોકોને વારસામાં પદ, પ્રતિષ્ઠા કે પૈસા મળ્યા હોય છે. પછી તેનું જતન કરી તેને વિકસાવવામાં દિન-રાત એક કરી ત્રણ ગણું કરવામાં કેટલાક સફળ થાય છે. જ્યારે કેટલાકે ખૂબ જ પુરુષાર્થ કરીને પદ, પ્રતિષ્ઠા કે પૈસા જાત મહેનતથી પ્રાપ્ત કરવા પડે છે. ઘણા લોકો પોતાના પરિવારના અન્ય લોકોથી ઉજળા દેખાતા હોય છે. બીજાના પ્રકાશને તેઓ પોતાનો પ્રકાશ માનતા હોય છે પરંતુ તે ખરા અર્થમાં પરાવર્તન હોય છે. આના કરતાં વિપરીત સ્થિતિ જોઈ લો તો ઘણા લોકો સ્વયંપ્રકાશિત હોય છે જેઓ ખૂબ મહેનત કરે છે , ઘણા ઈમાનદાર છે , દિલથી પ્રામાણિક છે તેમ છતાં અથાગ પુરુષાર્થ કરવા છતાં પદ કે પૈસા પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ તેઓની પ્રતિષ્ઠા ખૂબ જ સારી હોય છે.
આમ છતાં’નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ’ કહેવત મુજબ તેઓને તેમની પ્રતિષ્ઠાના પ્રમાણમાં માન કે સન્માન મળતું નથી. આવા લોકોને પીઠ પાછળથી લોકો અશક્ત કહે છે. પરંતુ સમાજમાં વિપરીત બાબતો જ એકબીજાની પૂરક હોય છે. એ ન્યાય મુજબ સશક્ત લોકોને સશક્ત હોવાનો દરજ્જો કથિત અશક્ત થકી જ મળતો હોય છે. ‘રાજા ને રાજા બનાવનાર પ્રજા જ હોય છે’. માટે ખરેખર આવા ઈમાનદાર છતાં અશક્ત કહેવાતા લોકો જ ખરા અર્થમાં સશક્ત હોય છે. આ એવા લોકો છે કે જેઓ મધ્યમ વર્ગમાં જનમ્યા છે. તેમની મૂડી જ પુરુષાર્થ હોય છે અને પ્રામાણિકતા તેમના સંસ્કાર હોય છે. અન્યને આદર આપવો એ મધ્યમવર્ગીય પરિવારમાં પાયાનું પરિબળ માનવામાં આવે છે.
પદ, પ્રતિષ્ઠા કે પૈસાનો મહદ અંશે ઉપયોગ જો દંભ કે દેખાડા પાછળ થતો હોય તો તે બહારથી દેખીતો સશક્ત માણસ પણ અંદરથી ખોખલો હોય છે. એ બાબત પર વિસ્મય થાય છે જ્યારે કેટલાક કહેવાતા સશક્ત લોકો દ્વારા હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી અને અખબારમાં પ્રસિદ્ધિ માટે આપવામાં આવે છે. આવી તસવીરમાં ક્યારેક જોયું છે, ચાર જણા વચ્ચે કે પાંચ જણા વચ્ચે હાથમાં એક સફરજન હોય અને પાછો આવો ફોટો અખબારમાં પણ છપાવે…!!! નકલી પ્રસિદ્ધિ કરીને લોકોને દયાળુ હોવાનો દંભ કરવો છે. હમણાં જ મકરસંક્રાંતિનો તહેવાર ગયો અને બધાને એક જ પ્રકારનો દેખાડો કરવો હોય છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો પ્રત્યે તેઓના મનમાં કેટલી દયા છે. આ એવા સશક્ત લોકો છે જેઓ ઝૂંપડપટ્ટીમાં ચીકી વિતરણ કરીને એટલી ધન્યતા નથી અનુભવતા જેટલી અખબારમાં પોતાની પ્રસિદ્ધિ થયા બાદ અનુભવે છે.
દયાનું પ્રદર્શન કરનારા લોકો પોતાની આસપાસના લોકો પ્રત્યે જ અસંવેદનશીલ હોય તેવું જોવા મળતું હોય છે. મારી દ્રષ્ટિએ સશક્ત લોકો એ છે કે જેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ ખુશ રહી શકે છે. અથવા તો વિપરીત પરિસ્થિતિ વખતે દુઃખી હોવા છતાં પણ બીજા માટે વિચારી શકે છે. અથવા તો પદ, પ્રતિષ્ઠા કે પૈસા કશું જ ના હોય છતાં પણ હાર માન્યા વિના સવારથી જ પોતાના પરિવારનું પેટીયું રળવા માટે પોતાના કર્મ કરવાનું છોડતા નથી. આ લોકો એ માટે સશક્ત છે, કારણ કે તેઓ જે કંઈ પણ કરે છે. તેઓ દેખાડા માટે નથી કરતા પરંતુ ખરેખર કરવા માટે કરી રહ્યા છે, અને જીવન દિલથી જીવી રહ્યા છે દિમાગથી નહીં.
વધારે પડતા તકસાધુ લોકોની વચ્ચેજીવનમાં આપણને હંમેશા સીધા-સાદા અને સાફ મનવાળા લોકો ગમતા હોય છે. પરંતુ હવે, વાસ્તવિક જીવનમાં પણ આપણને નાટક કરવાનો જાણે ચસકો લાગ્યો છે. સીધા-સાદા લોકો ગમે છે પરંતુ નાતો આડા લોકો સાથે પાડવો છે. આપણે દોડીએ છીએ પદ,પ્રતિષ્ઠા કે પૈસાદાર લોકોની પાછળ કે જેમની પાછળ દોડવાનો ટૂંકા ગાળા મા દેખીતો લાભ ભલે હોય લાંબા ગાળે કોઇ જ લાભ થવાનો નથી. આવા ખોટા લોકોની ભરમાર હોવાના કારણે એક ઈમાનદાર વ્યક્તિને નોકરી કરવાના સ્થળ પર સો અડચણો આવી શકે છે.
એટલું જ નહીં બલિનો બકરો ઈમાનદાર જ પહેલા બને છે. આ જ રીતે આજની યુવા પેઢીને મિત્રતા માટે પ્રામાણિક લોકો ગમશે. પરંતુ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવવા માટે કે પછી લગ્ન કરવા માટે પદ, પ્રતિષ્ઠા કે પૈસો ધરાવતા અતડા કે તુંડ મિજાજી લોકો પર પસંદગી ઉતારે છે, ભૂલથી કોઈ પ્રમાણિક પાત્ર જીવનમાં આવી ગયું તો મોટી ભૂલ થઈ ગઈ હોય તેવો અનુભવ કરે અથવા તો કરાવે છે. જે વસ્તુ સહેલાઈથી ઈશ્વરે પ્રદાન કરી છે તેનું અવમૂલ્યન કરે છે. પરંતુ ક્યાંક વાંચેલી પંક્તિઓ અહીં બંધબેસતી લાગે છે.
“મળશે જે મહેનત પછી તેની અચૂક થશે કદર,
મળે છે જે સહેલાઈથી, તેની કદર નથી હોતી. ગંદકી છે ખોરાક જેનો,
ભૂંડની ભૂંડી દશા સ્વચ્છતા કે ઈમાનદારીની કદર નથી હોતી.”