ચૂંટણીના વર્ષમાં રાજ્ય સરકાર કોઈને નિરાશ કરવા માંગતી નથી, ત્યારે વર્ષ 2006 પહેલા નિમણૂક પામેલા તલાટીઓ માટે એક ખુશખબર સામે આવ્યા છે. વર્ષ 2006 પહેલાં સીધી નિમણૂક પામેલા તલાટીઓને હવેથી બાંહેધરીમાંથી મુક્તિ અપાઈ છે. વર્ષ ૨૦૦૬ પહેલાના સીધી ભરતી થી નિમણૂક પામેલ તલાટી કમ મંત્રીશ્રી, વર્ગ ૩ સંવર્ગના કર્મચારીઓની ફિક્સ પગારની (૦૫) પાંચ વર્ષની સેવા, બદલી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તથા નિવૃત્તિ વિષયક લાભોના પંચાયત વિભાગના તારીખ ૧૬-૦૯-૨૦૨૨ ના ઠરાવ માંથી બાંહેધરી એફિડેવીટની શરત દૂર કરવામાં આવેલ છે.હવે તલાટીઓને બાંહેધરી આપવાની રહેશે નહીં તેમજ વર્ષ ૨૦૦૬ની ફિક્સ પગારની નીતિ પહેલાના સીધી ભરતીના તલાટી કમ મંત્રીશ્રીઓને તારીખ ૦૧-૦૪-૨૦૧૯ થી એરિયસ નો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900 ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું અપાશે.\
મંત્રીએ વધુમાં કહ્યું કે, ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ 2012 પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થતા આ મહત્વનો નિર્ણય કરાયો છે.