મુકેશ રાજપૂત, બારડોલી @ મંતવ્ય ન્યૂઝ
રાજકોટના નવા જકાતનાકા પાસે ગત 4થી મેના રોજ થયેલા અકસ્માત બાબતે ચાર શખ્સોએ બે વ્યક્તિઓને તલવાર અને પાઈપથી હુમલો કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર ગત 4 મે 2021ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ રાજકોટના નવા જકાતનાકા પાસે આવેલી વાલ્મિકી સોસાયટી નજીક જગદીશભાઈ સવજીભાઈ રિબડીયાને તેના ભત્રીજા સાથે થયેલા અકસ્માત બાબતે પ્રતાપ હમીર પરમાર, દેવેન્દ્ર ઉર્ફે લાલો પરમાર, હરપાલ અને છત્રપાલ નામના શખ્સોએ એકબીજાની મદદગારી કરી જગદીશભાઈ તેમજ તેમના ભત્રીજાને તલવાર, પાઇપ અને ગડદા પાટુનો માર માર્યો હતો. તેમજ જગદીશભાઈ પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.
આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુરત જિલ્લા એસ.ઓ.જી.શાખા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે કામરેજ ચાર રસ્તા પાસેથી દેવેન્દ્ર ઉર્ફે લાલો હમીરભાઈ પરમાર, પ્રતાપ હમીર પરમાર (બંને રહે.(રહે ઠાકર દ્વાર સોસાયટી, મોરબી રોડ રાજકોટ), છત્રપાલસિંહ ગિરિરાજસિંહ ગોહિલ (રહે.વારીયા ક્વાર્ટર, મોરબી રોડ, રાજકોટ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.