સમગ્ર દેશ સહિત ગુજરાત કોરોનાની મહામારી સામે લડત લડી રહ્યો છે. તેમાં રાજકોટ જેવા શહેરમાં વધી રહેલા કેસે માઝા મૂકી છે. તેમજ કોરોનાના કારણે માત્ર આર્થિક જ નહિ પરંતુ માનસિક રીતે પણ લોકો ભાંગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં કોરોનાના દર્દીઓ આત્મઘાતી પગલું ભરી રહ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહેતી રાજકોટ મધ્યસ્થ જેલમાં રવિવારે રાતે કોરોનાના ડરથી બે કાચા કામના કેદીએ કાચ ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હજુ તો આ ઘટનાને 24 કલાક પણ નથી થયા ત્યાં સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી કોરોના પોઝિટિવ દર્દી એ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસમથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.
હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર લઇ રહેલાની પૂછપરછમાં રૂખડિયાપરાનો ઇમરાન ઉર્ફે માઇકલ અનવર પઠાણ અને કિશન સુરેશ વાંજા નામના કાચા કામના કેદી હોવાનું જણાવ્યું હતું. બંનેના નિવેદન નોંધતા ઇમરાન ઉર્ફે માઇકલ તેની પત્ની સાથે એક વર્ષ પહેલા ગાંજા સાથે પકડાયા બાદ જેલમાં હતો. જ્યારે કિશન મેટોડા જીઆઇડીસીમાં થયેલી હત્યાના ગુનામાં બે વર્ષથી અહીં જેલમાં છે.દરમિયાન રવિવારે બંનેને રૂટિન તપાસ માટે તબીબ પાસે ગયા હતા.જ્યાં સામાન્ય તકલીફની દવાને બદલે તબીબ કોરોના હોવાનું કહી ક્વોરન્ટાઇન થવાની વાત કરી હતી.
કોરોના હોવાના ડરથી લાગી આવતા બંનેએ પગલું ભર્યાનું નિવેદનમાં જણાવ્યું છે. ડોક્ટરોએ તકેદારીના ભાગરૂપે કામગીરી કરી હતી.થોડા સમય પહેલા જ સારવાર માટે હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયેલો કેદી પોલીસને ચકમો આપી નાસી ગયાનો અને ત્યારબાદ ચોથા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હોય વધુ એક વખત જેલના બે ગંભીર ગુનાના કેદીને સારવાર માટે પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવતા વોર્ડમાં પોલીસનો સજ્જડ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે.આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.