- હોસ્પિટલમાં પ્રસુતિ બાદ મોત થતાં પરિવારનો હોબાળો
- દિપાલી પાટીલ નામની મહિલાનું પ્રસુતિ બાદ થયું મોત
- હોસ્પિટલમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યા બાદ થયું મોત
- તબીબ સામે કાર્યવાહી કરવાની પરિવારજનોની માંગ
સુરત નાં ઉધના વિસ્તારનાં રહેતી મહિલાને ગતરોજ પ્રસવ પીડા ઉપડી હતી. જેથી પરિવારજનો મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ મહિલાની હાલત ગંભીર બની હતી. અને ત્યાંથી તેણીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે મહિલાનું સ્મીમેર હોસ્પિટલ લઈ જતાં પહેલા જ મોત નીપજ્યું હતું. મહિલાના મોતને પગલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. તેમજ બેદરકારી દાખવનારા ઉધનાની ખાનગી હોસ્પિટલના તબીબો સામે કાર્યવાહીની માંગ કરી હતી. અંતે મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ લેવાઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક મહિલાની બપોરના સમયે સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં દીકરીનો જન્મ થયો હતો. જો કે ડિલિવરી બાદ મહિલાની હાલત ગંભીર બની હતી. જેના પગલે ખાનગી હોસ્પિટલમાંથી મહિલાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે મહિલા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેના પગલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ ડોકટરની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. મહિલાના મોતનાં પગલે પરિવારજનોએ હોસ્પિટલનો ઘેરાવો કરવાની તેમજ હોસ્પિટલ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી. મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. અને અગાઉ એક દીકરો પણ છે. માતાના એકાએક મૃત્યુથી બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.
સમગ્ર મામલે સ્મીમેર હોસ્પિટલના આરએમઓ ડો.અરવિંદે જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં રહેતી દિપાલી એકનાથ પાટીલ નામની મહિલાને પ્રસવ પીડા ઉપડતા ઉધનાની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જોકે મહિલાને વધુ સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. જો કે દિપાલીનું ખાનગી હોસ્પિટલમાં જ મોત નિપજ્યાં બાદ મૃત હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. દીકરીનાં જન્મને 24 કલાક પણ પુરા ન થયા હતા ત્યાં જ માતાનું મોત થતા પરિવારજનો રડી પડ્યા હતા. તેમજ ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.