Gujarat News: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ અને બિહેવિયરલ ફોરેન્સિક્સ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને આજે ઉદ્ઘાટન કરશે. અતિથિ વિશેષ તરીકે ન્યાયમૂર્તિ, અરુણ કુમાર મિશ્રા, અધ્યક્ષ-NHRC ઋષિકેશ પટેલ, શિક્ષણ, કાયદો અને ન્યાય મંત્રી હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી અને NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનૂન્ગો ઉપસ્થિત રહેશે.
જેમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસએ જણાવ્યું હતું કે, વિશ્વ કક્ષાનું આ સેન્ટર ઓફ એક્સેલેન્સ અત્યાધુનિક ઇન્ફાસ્ટ્રક્ચરથી સંપન્ન છે. જે સાયબર ક્રાઇમ સામેના પડકારોને પહોંચી વળવા તપાસકર્તાઓને મદદરૂપ થશે. ટેક્નોલોજીનો દુરુપયોગ થતા ડિજિટલ ગુનાઓના નિવારણ માટે વિશિષ્ટ સહાય અને દિશા પ્રદાન કરશે.
સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ (COEDF) ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષેત્રના નિષ્ણાતો, તજજ્ઞોને એકમંચ હેઠળ લાવનારું વિશિષ્ટ કેન્દ્ર પણ બની રહેશે. સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ ગાંધીનગર કેમ્પસ ખાતેનું પાંચમું સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે. અન્ય ચાર સેન્ટર ઓફ એક્સેલન્સમાં એન.ડી.પી.એસ., સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજી અને ડીએનએ ફોરેન્સિક્સનો સમાવેશ થાય છે.
ડો. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) અને ઈન્ડિયા સોસાયટી ઓફ ક્રિમિનોલોજી, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW), રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ આયોગ માટે (NCPCR) અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ (GSHRC)ના સહયોગથી આ ત્રિ-દિવસીય પાંચમી આંતરરાષ્ટ્રીય અને 44મી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ “બિહેવિયરલ ફોરેન્સિક્સ- રીઇન્ટિગ્રેટિંગ એક્સાન્ડિંગ કોન્ટર્સ ઓફ કિમિનોલોજી એન્ડ કિમિનાલિસ્ટિક્સ” વિષય ઉપર છે. આ ઉદ્ઘાટન સમારોહમાં દેશભરમાંથી ન્યાયાધીશો, કાયદા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ. ક્રિમિનોલોજિસ્ટ્સ અને વિદ્વાનો મોટી સંખ્યામાં ભાગ લેશે.
વધુમાં, રાજ્ય અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (FSL). જેલ વિભાગ, NCRB, BSF જેવી વિવિધ સરકારી એજન્સીઓના અધિકારીઓને પણ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે અને 600થી વધુ સહભાગીઓ કોન્ફરન્સમાં હાજરી આપશે.
આ પણ વાંચો:Ayodhya Ram Temple/અયોધ્યામાં તમને જોવા મળશે સૌથી સુંદર રામાયણ, જેની કિંમત છે 1 લાખ 65 હજાર
આ પણ વાંચો:રામ મંદિર/રામલલાની મૂર્તિમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર! જાણો વિગત