બેંગલુરુ
કેન્દ્રના સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારનું 59 વર્ષની વયે નિધન થયું છે.છેલ્લા થોડા સમયથી કેન્સરની બિમારીથી પીડાતા અનંત કુમાર અમેરિકામાં કેન્સરની સારવાર કરાવીને ઓક્ટોબર મહિનામાં પરત ફર્યા હતા.જોકે તે પછી રોગે ફરી ઉથલો મારતા તેમને બેંગલુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે વહેલી સવારે તેમના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરતા તેમનો દેહાંત થયો હતો.
અનંત કુમાર પાસ રસાયણ અને સંસદીય બાબતો એમ બે ખાતાની જવાબદારી હતી.અનંત કુમાર 1996થી બેંગલુરની દક્ષિણ લોકસભાની સીટ પરથી ચૂંટાતા હતા.એલએલબી ભણેલા કુમારના પરિવારમાં પત્નિ તેજસ્વીની,બે છોકરીઓ ઐશ્વર્યા અને વિજેતા છે.
અનંત કુમારના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ શોકાંજલી અર્પિત કરી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું કે, મારા મિત્ર અને સાથીદારના નિધનથી અત્યંત દુઃખી છું.તેઓ તેમના કામને કારણે હંમેશા યાદ રહેશે.