ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોધાયો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના રસીકરણ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી એ રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર 24 મે થી એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 18 થી 44 ની વય જૂથના યુવાઓ નું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણનો લાભ આપી કોરોના થી સુરક્ષિત રાખવાના આરોગ્ય વિભાગને એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે.
યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી અગાઉ 30 હજાર યુવાઓના રોજ થતા રસીકરણ માં હવે રોજ ના એક લાખ યુવાઓને આવરી લેવાશે. આ નિર્ણય ને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓ ને કોરોના રસીકરણ નો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓ ને રક્ષણ મળશે. આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ ના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારુ અને સુઆયોજિત રીતે પાર પડે તે માટેનું આયોજન કર્યું છે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી દિશા દર્શનમાં ગુજરાત દેશભરમાં પર મિલિયન વેક્સિનેશન માં અગ્રેસર રહ્યું છે. ફ્રંટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વય ના લોકો ના રસીકરણ માં ગુજરાતે આ અગ્રેસરતા મેળવ્યા બાદ હવે 18 થી 44 વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓ ની આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ દેશ માં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.