ગાંધીનગર,
રાજ્યના પાટનગરની નજીકમાં આવેલા રૂપાલ ગામે આસો સુદ વદના રાત્રે માતાની પલ્લીનો પ્રારંભ થાય છે. આ મહોત્સવ જગજાણીતો છે. જ્યાં અનેરી આસ્થાના દર્શન થાય છે.
આશરે સાડા પાંચ હજાર વર્ષથી આ યાત્રા નિકળે છે અને આખી રાત ગામમાં ફર્યા બાદ સવારે નિજમંદીરે પહોંચે છે.
રૂપાલની વરદાયિની માતાની પલ્લીનાં દર્શન કરવા માટે 12 લાખથી વધુ લોકો આવ્યા હતા. આ પલ્લી 10 ફૂટ ઊંચી અને 7.5 ફૂટ પહોળી હોય છે.
માતાની પલ્લી મંદિરમાંથી નીકળીને ગામના 27 ચકલામાંથી પસાર થઈ હતી અને દરેક ચકલામાં પલ્લી પર ઘી રેડવામાં આવ્યું હતું. જેના કારણે ગામમાં ઘીની નદીઓ વહેવા લાગી હતી.
ગામમાં આવેલ માતાના સ્થાનકને રોશનીથી સજાવાયું હતું. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવ્યા હતા. જેના બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળી હતી. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં એટલી મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે કે, જોઈને ઘડીક બીક લાગે, પરંતુ આજ દિન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.
પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. રૂપાલની વરદાયિની માતાની પલ્લી બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર જ્ઞાતિના લોકો સાથે મળીને બનાવે છે. એટલે કે, માતાની પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.
જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાન યુવનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે.