પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવના કારણે ઈંધણનું માસિક બજેટ તો ખોરવાયું જ છે સાથે માસિક ઘર ખર્ચના બજેટ પર પણ અસર પડી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે. આટલું ઓછું હોય તેમ લંબાયેલા ચોમાસા અને અનિયમિત વરસાદના કારણે શાકભાજી અને અનાજના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળી અને ટામેટાં જેવા રોજિંદા વપરાશના શાકભાજીનો છૂટક બજારમાં ભાવ છેલ્લા થોડા અઠવાડિયામાં 40 ટકા જેટલો વધ્યો છે. સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ આટલો જ વધારો નોંધાયો છે.
પેટ્રોલ-ડીઝલની વધેલી કિંમતો પણ શાકભાજીના હોલસેલ અને રિટેલ ભાવમાં આવેલા વધારાનું એક કારણ છે. નાસિકમાં ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. નાસિકથી અમદાવાદનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ 20 ટકા જેટલો વધી ગયો છે. જેના કારણે ડુંગળીના હોલસેલ અને રિટેલ બંને ભાવમાં ખૂબ વધારો જોવા મળ્યો છે.આ વખતે કઠોળની આયાતમાં રાહત અપાઈ હોવાથી હોલસેલ કિંમતમાં ભારે ઉછાળો નથી આવ્યો. જોકે, રિટેલ બજારમાં કઠોળની કિંમતો વધી છે. સાથે ફ્યૂઅલના ભાવમાં વધારો થતાં તેની સામાન્ય અસર રિટેલ કિંમત પર જોવા મળી છે.
ઘરમાં સૌથી વધુ વપરાતા શાકભાજી એટલે કે ડુંગળી અને ટામેટાંના ભાવ આસમાને આંબતા ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું છે સાથે જ રેસ્ટોરાંઓમાં પણ તેની અસર દેખાઈ છે. હવે તહેવારો નજીક છે ત્યારે આ બંને શાકના વપરાશમાં વધારો થવાનો છે.