@ અમિત ઠાકોર, વડોદરા
અપડેટ 8.56pm
હાલમાં મળતી માહિતી અનુસાર આ દર્દીનું મોત થયું છે.
વડોદરામાં સરકારી હોસ્પિટલોમાં ચાલતાં અંધેર વહીવટને કારણે એક યુવાન દર્દીનો જીવ જોખમમાં આવી ગયો છે. કોરોના વોર્ડમાં વેન્ટિલેટર હોવાં છતાં તે વેન્ટિલેટર કોરોના સિવાયનાં દર્દીને ન અપાતાં આ દર્દીને વિવિધ હોસ્પિટલોમાં રખડવાનો વારો આવ્યો. જેમાં કલાકો બગડ્યા અને અંતે આ દર્દી એક ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ વચ્ચે વેન્ટિલેટર ઉપલબ્ધિને લઇને અનેક વિવાદો થઇ રહ્યાં છે. જો કે તંત્રએ સામાન્ય વોર્ડનાં વેન્ટિલેટર પણ કોરોના વોર્ડમાં શિફ્ટ કરી દેતાં સામાન્ય દર્દીઓનો જીવ વેન્ટિલેટર વગર જોખમમાં આવી રહ્યો છે. એવો જ વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ તેમજ ગોત્રીની જી.એમ.ઇ.આર.એસ સરકારી હોસ્પિટલ છાશવારે વિવાદમાં આવતી હોય છે ત્યારે વધુ એક વખત દર્દીને સારવાર ન આપી હોસ્પિટલ વિવાદમાં આવી છે.
ભરૂચના 28 વર્ષીય નાઝીમ રાઠોડને સુરતના ઓલપાડ પાસે અકસ્માત નડયો હતો. જેથી તાત્કાલિક સારવાર અર્થે તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની અટલાદરા સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબોએ ઉપચારનો ખર્ચો વધુ કહેતાં પરિવારજનોએ સરકારી હોસ્પિટલમાં દર્દીને ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વેન્ટિલેટર સાથે જરૂરી સારવાર માટે ૧૦૮ મારફતે દર્દીને સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
પરંતુ તંત્ર તરફથી પહેલાં યોગ્ય જવાબ નહોતો મળ્યો અને ત્યારબાદ વેન્ટિલેટર ન હોવાનું કહી ગોત્રી હોસ્પિટલ જાવ એવું જણાવવામાં આવ્યું હતું. દર્દીને લઇ પરીવારજનો ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ વેન્ટિલેટર ન હોવાનું રટણ હોસ્પિટલોના સત્તાધીશોએ કર્યું હતું. જેને લઇ પરિવારે મજબૂરીવશ માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર અર્થે ખસેડયો હતો. જો કે આ દરમ્યાન આ દર્દીને વેન્ટિલેટર વગર ચાર કલાક સુધી રઝળવાનો વારો આવ્યો હતો. જેથી દર્દીની હાલત અત્યંત ગંભીર બની છે.
દર્દીનાં સસરા કાસમ રાજે જણાવ્યું હતુ કે સરકાર એકબાજુ કોરોનાનાં કારણે વેન્ટિલેટર વધારે છે. પરંતુ બધા વેન્ટિલેટરો કોરોનામાં હોવાના કારણે આજે મારા જમાઈને સારવાર નથી મળી ત્યારે મધ્યમ વર્ગીય પરિવારને સરકારી દવાખાનામાં સારવાર ન મળે તો સરકારી દવાખાના નો શું જરૂર છે. સાથે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને મીડિયા મારફતે રજૂઆત કરી હતી કે વધુ વેન્ટિલેટર ની વ્યવસ્થા કરી દરેક દર્દીને સારવાર મળે તેની વ્યવસ્થા તંત્ર કરવી જોઇએ તેવું જણાવ્યું હતું.
વડોદરાની ગોત્રી ઉપરાંત સયાજી હોસ્પિટલની આટલી મોટી બેદરકારીને કારણે એક યુવાન દર્દીનાં જીવ પર આવી પડ્યું છે. આ અંગે એસએસજી હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટને પૂછતા પ્રો.રંજન ઐયરે હોસ્પિટલ તંત્રની ભૂલનો સ્વીકાર કરી જણાવ્યું કે, સર્જીકલ વોર્ડમાં વેન્ટિલેટર ન હોવાથી દર્દીને વેન્ટિલેટર ન આપી શકાયું. જો કે, આ અંગે તપાસ કરી કસુરવાર સ્ટાફ સામે પગલાં લેવાનું તેમને જણાવ્યું હતું. પરંતુ, આગામી દિવસોમાં હોસ્પિટલમાં કોરોના અને સામાન્ય બંને વોર્ડમાં દર્દીઓને વેન્ટીલેટર મળી રહે તેવી જલ્દીથી વ્યવસ્થા કરવામાં આવશે તેમ તેમને જણાવ્યું.
સુપ્રિન્ટેન્ડેન્ટ ભલે પોતાની તેમજ સ્ટાફની અણઘડતાનો સ્વીકાર કરતાં હોય પણ સવાલ એ છે કે, કોરોના વોર્ડમાં વેન્ટિલેટર ખાલી હોવાં છતાં તે કેમ આ દર્દીને ન અપાયું અને તેને કારણે હવે જ્યારે દર્દી જીવન મરણ વચ્ચે ઝોકા ખાઇ રહ્યો છે ત્યારે તેની માટે જવાબદાર કોણ..??
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…