આજે રશિયા-યુક્રેન યુદ્ધનો 11મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શનિવારે યુએસ સેનેટરોને રશિયાના આક્રમણ સામે લડવામાં દેશને મદદ કરવા વધુ વિમાનો મોકલવા વિનંતી કરી. આ સમયે યુક્રેનના મારીયુપોલ અને વોલ્નોવાખામાંથી લોકોને બહાર કાઢવા માટે લાગુ કરવામાં આવેલ યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. યુક્રેનિયન મીડિયા અનુસાર, રશિયન સૈન્યએ મારીયુપોલમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે, ત્યારબાદ સુરક્ષાના કારણોસર માનવતાવાદી કોરિડોરમાંથી નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે મોસ્કો યુક્રેન પર નો-ફ્લાય ઝોનની કોઈપણ તૃતીય-પક્ષની ઘોષણાને “આ લડાઈમાં સહભાગી તરીકે ગણવામાં આવશે.આ દરમિયાન યુએસ અને યુકેએ મુસાફરી એડવાઇઝરી જાહેર કરી છે અને કહ્યું છે તેમના નાગરિકો રશિયા છોડશે.
રશિયાએ શનિવારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું હતું કે યુક્રેનના પૂર્વ ભાગમાં સ્થિત ડોનેટ્સકના 2 શહેરોમાં યુદ્ધવિરામ છે. તમને જણાવી દઈએ કે યુદ્ધની શરૂઆત પહેલા જ રશિયા દ્વારા ડોનેત્સ્કને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું. યુદ્ધવિરામ બાદ પણ રશિયાએ રવિવારે મારિયુપાેલ પર હુમલો કર્યો હતો. મારિયુપોલ એ જ શહેર છે જ્યાં આગલા દિવસે યુદ્ધવિરામ થયો હતો. આ દરમિયાન રશિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે તે આ દરમિયાન હુમલો નહીં કરે. તેથી ફસાયેલા લોકોને સલામત માર્ગ આપવામાં આવશે.