બનાસકાંઠાનાં વાવ તાલુકાનાં છેવાડામાં આવેલા બોર્ડર સરહદી વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. સ્થિતિની સચ્ચાઇને જોવા મંતવ્ય ન્યુઝ ભારત પાકિસ્તાનની સરહદે પહોંચ્યું હતુ. અહી આવેલા વાવ તાલુકાનાં રાઘાનેસડા,કુંડાળીયા ગામે ગ્રામજનોને પીવાનું પાણી 10 થી 15 દિવસે ટેન્કર દ્વારા આપવામાં આવે છે. જે પૂરતું પાણી પણ હોતુ નથી. ટેન્કર આવે ત્યારે માત્ર બે થી ત્રણ બેડાં પાણી એક પરિવારને મળે છે.
કુંડાળીયાનાં રબારીવાસની મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચેક વર્ષથી પાણીની આવી જ વિકટ સમસ્યા હોવા છતાં હજુ સુધી કોઈપણ રાજકીય નેતા અહી આવ્યા નથી. સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભાની સત્તા મેળવ્યા બાદ આજદિન સુધી સરહદી ગામોની મુલાકાત લીધી નથી. જેના કારણે મહિલાઓએ રોષ વ્યકત કર્યો હતો
પાણીનાં અભાવે પશુઓને પણ હવાડે આવેલા તરસ્યાં પરત ફરવું પડે તેવી પરિસ્થિનું નિર્માણ થયુ છે. પાણીની ટાંકીઓ હવાડા હોવા છતા ખાલીખમ જોવા મળી રહી છે. અહી પશુઓની અત્યંત કફોડી હાલત બની જવા પામી છે. ગુજરાત સરકાર પાણી માટે મોટા વાયદાઓ કરે છે પરંતુ ક્યારે મળશે પાણી તે જમાવતી નથી. કુંડાળીયા રબારી વાસની મહિલાઓ 47 ડિગ્રી તાપમાન વચ્ચે પાણીનાં ટેન્કરની ભર બપોરે રાહ જોતી જોવા મળી આવી હતી. આખરે ટેન્કર ન આવતા તેમને ખાલી બેડાં પરત લઈને ફરવાનો વારો આવ્યો હતો.