@સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ
ગુજરાતનાં રાજકારણમાં છેલ્લા પંદર દિવસમાં કેટલીક મહત્વની ઘટનાઓ બની જે સીધી જ વર્ષ 2022ની ચૂંટણી પર અસરકર્તા ગણી શકાય. કેજરીવાલની ગુજરાત મુલાકાતથી માંડીને ભાજપનાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત અત્યંત મહત્વની ગણી શકાય. ખાસ કરીને ભાજપનાં નેતાઓની મુલાકાત એ સ્પષ્ટ સંદેશો આપી રહી છે કે મિશન 2022 અંતર્ગત હવેથી સંગઠન અને સરકાર એક જ ચીલે ચાલશે.
ધરતીકંપ / અરૂણાચલ પ્રદેશમાં અનુભવાયો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 નોંધાઇ
તાજેતરની અમિત શાહની મુલાકાતથી જ વાતનો દોર શરૂ કરીએ તો અમિત શાહે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાથે બેઠકોનો દૌર ચલાવ્યો હતો. એ પહેલા પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા અને તેમણે પણ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે ડિનર ડિપ્લોમસી કરી. પ્રથમ તેમણે પ્રદેશ પ્રમુખના ઘરે ભોજન લીધું અને બીજા દિવસે મુખ્યમંત્રી નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસી કરી, જ્યા ભોજન માટે પ્રદેશ પ્રમુખ પણ જોડાયા હતા. ભુપેન્દ્ર યાદવે સૌપ્રથમ કોર ગ્રુપનાં સભ્યો એટલે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિતનાં નેતાઓ સાથે બેઠક કરી હતી. બાદમાં કેટલાક નેતાઓ સાથે વનટુ વન બેઠકો કરી હતી. આ બેઠકોનાં દૌરમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે થયેલી બંધબારણે મંત્રણા ખૂબ જ સૂચક માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સંગઠન અને સરકાર વચ્ચે પ્રવર્તતા કેટલાક પ્રશ્નો અંગે સમાધાનકારી વલણ અપનાવવાનું નક્કી થયું છે. પ્રભારી સમક્ષ સરકાર તરફથી અને સંગઠન તરફથી કેટલીક રજૂઆત થઇ હતી જે અંગે રસ્તો કાઢી લેવામાં આવ્યો છે. પાછળથી ગૃહમંત્રી અને ભાજપનાં સિનિયર આગેવાન અમિત શાહની વન ટુ વન મીટીંગનાં કારણે મામલો થાળે પડી ગયાનું બહાર આવ્યું છે અને હવે સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે સંગઠન અને સરકાર સંકલનથી કામ કરશે.
ચૂંટણી / ઉત્તર પ્રદેશમાં ભાજપનો આગામી વિધાનસભા ચૂંટણીમાં 300 બેઠકો જીતવાનો લક્ષ્યાંક
આ બધી ગતિવિધિઓ વચ્ચે પૂર્વ સંગઠન પ્રભારી વી. સતીષએ ટ્વિટ મારફતે તેમની ગાંધીનગરમાં હાજરીની પુષ્ટિ કરતા રાજકીય રીતે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. દરમ્યાન આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં પત્રકાર પરિષદ સંબોધી ગયા છે. વર્ષ 2022ની ચૂંટણીમાં આપ તમામ 182 બેઠકો પર તેના ઉમેદવાર ઉતારશે તેવું નાળિયેર કેજરીવાલ રળતું મૂકી જતાં હવે મિશન 2022 અંતર્ગત ભાજપમાં સરકાર અને સંગઠન એક તાંતણે બંધાઈને સંયુક્ત કામગીરી કરે તેવો આદેશ હાઇકમાન્ડ તરફથી અપાયો હોઈ, હવે સંગઠન અને સરકાર તાલમેલથી જ ચાલશે તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.