દમિશ્ક,
દક્ષિણ-પશ્ચિમ સીરિયા સરકારના કબ્જાવાળા વિસ્તારમાં હુમલો કરી ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં 200થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. સ્થાનિક મીડિયા અને અન્ય સમાચાર સંસ્થાઓના જણાવ્યા મુજબ, આ એક આત્મઘાતી હુમલો હતો. જે સરકારના નિયંત્રણ હેઠળના સ્વેઈદા શહેરમાં કરવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્વેઈદામાં આઈએસના હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા છે. જોકે, સુત્રોનું કહેવુ છે કે આ આંકડો 200થી વધુનો હોઈ શકે છે. સિરીયાના સ્વેઈદા શહેરમાં એક બાદ એક થયેલ અનેક આત્મઘાતી હુમલાઓમાં આટલી મોટી જાનહાનિ થઈ હતી.
તાજેતરના મહિનાઓમાં જ સિરીયા સરકારે દક્ષિણના પ્રદેશોમાં નિયંત્રણ મેળવ્યુ હતું. ઓબ્ઝર્વેટરી સંસ્થાએ રાજધાની દમિશ્ક સહિતના દક્ષિણના પ્રદેશોમાં હુમલા થયા હોવાના અહેવાલ આપ્યા હતા. એક નિવેદનમાં જણાવ્યા મુજબ, ત્રણ આત્મઘાતીબોંબરોએ સ્વેઈદા શહેરમાં જુદા જુદા વિસ્તારને નિશાન બનાવી હુમલા કર્યા હતા.
એક આત્મઘાતી હુમલો સ્વેઈદામાં, જ્યારે અન્ય બે આત્મઘાતી હુમલાખોરો વિસ્ફોટ કરે તે પહેલા તેમને ઠાર કરવામાં સુરક્ષાદળોને સફળતા મળી હતી. જાકે હજી સુધી આ અંગે કોઈ પુષ્ટી કરાઈ નથી. માનવામાં આવી રહ્યુ છે કે , ગત રોજ થયેલ આ હુમલાઓમાં 200થી વધુ લોકોના મોત થયા છે. મહત્વનુ છે કે યુએનના જણાવ્યા મુજબ આ પ્રદેશમાં લડાઈ શરુ થઈ ત્યારથી અત્યાર સુધી 2.5 લાખથી વધુ લોકોએ પલાયન કર્યુ છે.