ઈસ્તામ્બુલ,
તુર્કીમાં બે વર્ષ પહેલા લદાયેલ કટોકટીનો આજે અંત આવ્યો છે. પરંતુ વિપક્ષને આશંકા છે કે હવે આની જગ્યાએ વધુ દમનકારી કાયદાઓ કાયદેસર રીતે લાગુ કરવામાં આવી શકે છે. વર્ષ 2016માં લદાયેલ આ કટોકટી અંગે થોડા દિવસ અગાઉ તુર્કીના રાષ્ટ્રપતિના પ્રવક્તા ઈબ્રાહિમ કલિને જણાવ્યુ હતું કે, બે વર્ષથી લગાવવામાં આવેલ રાજકીય કટોકટીને 18 જુલાઈએ દૂર કરવામાં આવશે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ નવા પ્રધાન મંડળની પ્રથમ બેઠક બાદ પ્રેસીડેન્ટ ના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, વર્તમાન સંજાગો જોતા એવુ લાગી રહ્યુ છે કે દેશમાં લાગુ કરાયેલ કટોકટી ને 18 જુલાઈએ દૂર કરી દેવામાં આવશે. મહત્વનુ છે કે, તુર્કીમાં વર્ષ 2016માં સત્તા પરિવર્તનના નિષ્ફળ પ્રયત્ન બાદ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. ત્યારબાદ તેનો સમયગાળો સાત વખત વધારવામાં આવ્યો હતો.
તુર્કીમાં સત્તા પરિવર્તનના એ નિષ્ફળ પ્રયત્નમાં આશરે 250 લોકોના મોત થયા હતા. જ્યારે 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. જાકે, આ કટોકટી હટ્યા બાદ પણ આતંકવાદ અટકાવવાના પ્રયત્નો યથાવત રહેશે તેવુ પ્રેસિડેન્ટના પ્રવક્તા ઈબ્રાહિમ કલિને નિવેદન આપ્યુ છે. તેમજ તેમણે જણાવ્યુ હતું કે જો ફરીવાર તુર્કીના શાસન પર હુમલો કરવાની ઘટના બનશે તો દેશમાં ફરી કટોકટી લાગુ કરવામાં આવી શકે છે. મહત્વનુ છે કે બે સપ્તાહ અગાઉ રેસેપ તઈપ એર્દોગાને તેમના બીજા કાર્યકાળ માટે તુર્કીના પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.