ઈસ્તાંબુલ: ઉત્તર પશ્ચિમ તુર્કી (Turkey)માં રવિવારે એક ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જવાના કારણે 24 વ્યક્તિના મોત નીપજ્યાં છે. જયારે અન્ય ૧૦૦ વ્યક્તિ ઘાયલ થયા છે. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, બુલ્ગારિયાની સરહદથી જોડાયેલા કાપિકુલ શહેરથી આ ટ્રેન ઈસ્તાંબુલ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેનના છ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ દુર્ઘટનાના સચોટ કારણો જાણી શકાયા નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, ઉત્તરી-પશ્ચિમી તુર્કીમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પાટાઓ ઉખડી ગયા છે. જેના કારણે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. આ ટ્રેનમાં કુલ ૩૬૨ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
મોટી સંખ્યામાં ડિઝાસ્ટર અને બચાવ કર્મીઓએ તાકીદે ઘટનાસ્થળ પર પહોંચીને મોરચો સંભાળ્યો છે. આ ઘટના સ્થળ પર સરકારની તરફથી ૧૦૦થી વધુ એમ્બ્યુલન્સને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં મોકલી આપવામાં આવી છે. સાથોસાથ તુર્કીની સેના (આર્મી)એ રાહત અને બચાવની કામગીરી માટે હેલિકોપ્ટર મોકલવાની વાત કરી છે. ટેકિરડાગના ગવર્નર મેહમેટ સિયાલેનએ એક મીડિયા ચેનલને કહ્યું હતું કે, ઘાયલોની સંખ્યા વધુ છે. તેઓએ પણ આ દુર્ઘટના પાછળ ખરાબ હવામાનને જ જવાબદાર ગણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી-૨૦૦૮માં ઈસ્તાંબુલના દક્ષિણમાં કુટ્ટાહિયા વિસ્તારમાં એક ટ્રેન દુર્ઘટનામાં નવ લોકોના મોત નીપજ્યા હતા. આવી જ રીતે જુલાઈ ૨૦૦૪માં 41 વ્યક્તિના મોત નીપજ્યાં હતા અને ૮૦ ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ત્યારે બની હતી કે, જયારે ઉત્તર-પશ્ચિમી પ્રાંત સકાર્યમાં એક હાઈ સ્પીડ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી.