આંધ પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે જે આઝાદ ભારતમાં ક્યારેય ના થયો હોય.જગનમોહન રેડ્ડીએ શુક્રવારે તેમના 25 સભ્યોના મંત્રીમંડળમાં પાંચ ઉપમુખ્યમંત્રીની નિમણૂંક કરી છે.રેડ્ડીએ એસસી,એસટી,બીસી,કાપુ જાતિ અને લઘુમતી કોમમાંથી પાંચેય ડેપ્યુટી સીએમની નિમણુંક કરી છે.
તાડ્ડેપલ્લેમાં મુખ્યમંત્રીની ઓફિસમાં વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્યોની મીટીંગમાં સીએમ જગનમોહન રેડ્ડીએ આ નિર્ણય જાહેર કર્યો હતો.જગનમોહન રેડ્ડીએ કહ્યું કે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.રેડ્ડી સરકારના નવા મંત્રીઓ શનિવારે શપથ લેશે.
જગનમોહન રેડ્ડીએ 30મેના રોજ તેલંગાણાથી અલગ થયા બાદ આંધ્રના બીજા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. અગાઉ ચંદ્રબાબુ નાયડૂની આગેવાની વાળી ટીડીપી સરકારમાં બે ઉપમુખ્યમંત્રી કપુ સમુદાય અને પછાત વર્ગમાંથી હતા.
જગનમોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેઓ અઢી વર્ષ બાદ કેબિનેટમાં ફેરફાર હાથ ધરશે. તેમણે ધારાસભ્યોને લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખી સાવધાનીપૂર્વક કામ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, લોકોનું ધ્યાન સરકાર કેવું કામ કરે છે તેના પર છે અને લોકોને આપણી અને અગાઉની સરકારમાં અંતર દેખાવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં વાઈએસઆર કોંગ્રેસે 175માંથી 151 બેઠકો જીતી હતી. ચન્દ્દ્રબાબુ નાયડૂની તેલગુ દેશમ પાર્ટીને માત્ર 23 જ બેઠકો મળી હતી.