કોરોના કાળમાં અમદાવાદમાં દુકાનોને છુટછાટ તો આપવામાં આવી છે. પરંતુ દિવાળી અને નવરાત્રિ પહેલા રોશનીથી ઝગમગતા ઇલેક્ટ્રોનિક માર્કેટની રોશની ગાયબ છે. અનલૉક થયા બાદ જનજીવન સામાન્ય થયું પરંતુ આ માર્કેટમાં મંદી યથવાત છે.
વેપારીઓ ગ્રાહકોની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં રિલિફ રોડ ઉપર આવેલું ઇલેક્ટ્રોનિક માર્કેટ હંમેશાથી ગ્રાહકોથી ભરેલું રહેતું હતું પરંતુ કોરોના મહામારી આવ્યા બાદ સમગ્ર દેશમાં લોક ડાઉન લગાવી દેવામા આવ્યું જેથી મંદીનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. અનલૉક થયા બાદ દુકાનોને છુટ છાટ આપવામાં આવી જેથી વેપારીઓને એક આશા હતી આગળ આવતા તહેવારોમાં ખરીદીથી તેમની રોજી રોટી નીકળતી થશે. પરંતુ વેપારીઓની આ આશા ઉપર પણ પાણી ફરી વળ્યુ છે કેમકે ગરબા ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
ગુજરાત સરકારે વાઇબ્રન્ટ નવરાત્રિનો રાજ્યકક્ષાનો પ્રોગ્રામ રદ કરવાની જાહેરાત કરતાં હવે નવરાત્રિના મોટા આયોજનોની મંજૂરી નહીં મળે તેવા સંકેતો મળી ગયા છે. તેવામાં નવરાત્રીમાં થતો લાઇટિંગ અને ડેકોરેશનનો બિઝનેસ પડી ભાંગ્યો છે. જેથી વેપારીઓ પાયમાલ બન્યા છે. અત્યાર સુધી એવું હતું કે, નવરાત્રી આવે એટલે અહીંના વેપારીઓ ખુશ ખુશાલ જોવા મળતા હતા. પરંતુ આ વર્ષે તહેવારોની હેલી પણ માર્કેટમાં મંદી હોવાથી ફિક્કી પડી છે અને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. રિલીફ રોડ ઉપર અંદાજે ૫૦૦ કરતા વધારે ઇલેક્ટ્રિકની દુકાનો આવેલી છે. જેમાંથી મંદીના કારણે 25 ટકા દુકાનો બંધ હાલતમાં છે.
નવરાત્રી પહેલા 20 થી 25 ટકા જ ખરીદી થઇ રહી છે. આ વર્ષે ઇલેકટ્રોનીક માર્કેટમાં અંદાજિત 100 કરોડનું નુકશાન થવાના એધાંણ છે. એમાં પણ બોયકોટ ચાઈના ને પગલે ઇલેક્ટ્રોનિક બજાર વધુ ઠંડુ પડ્યું છે. ત્યારે વેપારીઓ હવે ફરી એક વાર વેપાર ધંધા રાગે પડે તેની વાટ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.