@અરૂણ શાહ ,મંતવ્યન્યૂઝ ,અમદાવાદ….
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની મુદત પૂર્ણ થવાના આરે છે અને ત્રણ મહિના ચૂંટણી મોડી થવાની છે. ત્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વીજબિલ અને પાણીબિલના કરોડોના નાણાં બાકી રહ્યાં છે. મનપા અને નપા દ્વારા બિલ નહીં ભરાતાં તેનું આર્થિક નુક્સાન સામાન્ય પ્રજાના શિરે આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ગુજરાતમાં 8 મહાનગરપાલિકા અને 155 નગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે. ગાંધીનગર અને જૂનાગઢ સિવાય 6 મનપા અને 155 નગરપાલિકાની મુદત ડિસેમ્બર અંત સુધીમાં પૂર્ણ થઇ રહી છે. દરમિયાન પૂર્ણ થતી મનપા અને ન.પા.માં વહીવટદારના શાસનધૂરા સોંપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. દરમિયાન ચૂંટાયેલી પાંખના શાસનકાળ દરમિયાન મહાનગરપાલિકા અને નગરપાલિકાએ ભરવાના થતાં વીજ બિલ અને પાણીબિલ નહીં ભર્યા હોવાની વિગત જાણવા મળી છે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અંદાજે 300 કરોડના વીજબિલ મનપા અને નગરપાલિકા પાસેથી વસૂલવાના બાકી છે. હાલ મનપા અને નપાની મુદત પૂર્ણ થઇ અને થવાની તૈયારી છતાં વીજબિલ વસૂલ નહીં થતાં વીજકંપની બાકી બિલની કરોડોની રકમ ટી એન્ડ ડી લોસ એટલે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ બતાવે એવી સંભાવના છે. ટી એન્ડ ડી લોસનો કરોડોનો આર્થિક બોજો સામાન્યપ્રજાના શિરે આગામી સમયમાં ઝીંકાવાની શક્યતા નકારી શકાતી નથી.
વીજબિલની જેમ જ મનપા અને નપાને આપવામાં આવતો પાણીનો પુરવઠો પણ વેચાતો અપાતો હોય છે. મનપા અને નપાને ગુજરાત સરકાર હસ્તકના પાણી પુરવઠા વિભાગ દ્વારા કે નર્મદાના પાણી અપાય તો નર્મદા નિગમના બિલ મોકલી આપવામાં આવે છે. આ સંજોગોમાં પાણીના બિલ ભરવામાં પણ મનપા અને નપા સત્તાધીશોએ વિલંબ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ સંજોગોમાં મનપા અને નપાના સત્તાધીશોએ કરેલાં બિલ ભરવાના વિંલંબનું પરિણામ સામાન્ય પ્રજાએ ભોગવવું પડે એ સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મનપા અને નપા સત્તાધીશો અને વહીવટીપાંખ આ અંગે ગંભીરતા દાખવી વીજબિલ કે પાણી બિલ ભરશે કે પછી આખરે પ્રજાને જ તેનું આર્થિક ભારણ ભોગવવું પડશે ? આ પ્રશ્નનો જવાબ સરકાર , મનપા કે નપા સત્તાધીશો કે વહીવટીવડા આપશે ?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…