Today Special: 3 માર્ચના રોજ મનાવવામાં આવનાર ‘વિશ્વ વન્યજીવન દિવસ’ (World Wildlife Day 2026, 3 March) એક આંતરરાષ્ટ્રીય તારીખ જ નહિં પરંતુ ધરતીના એ મૂંગા રક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર છે જેના કારણે પૃથ્વી પર જીવનનું સંતુલન જળવાઇ રહ્યું છે! આ દિવસ માણસાઇનો એક મૂક ચિત્કાર છે જે જંગલની નિરવ સ્તબ્ધતાની ચીરીને આપણી માનવસભ્યતાના શોરબકોર સુધી પહોંચે છે. આ વિશેષ દિવસ આપણને એ યાદ કરાવે છે કે, આ જગતના જીવનલક્ષી તાણા-વાણા ફક્ત મનુષ્યના શ્રમ, બુદ્ધિ અને ટેકનિકથી જ નહિં પરંતુ, એવા અસંખ્ય પ્રાણીઓથી ગૂંથાયેલા છે કે જે ચૂપચાપ પ્રકૃતિના સંતુલનને જાળવવામાં મદદ કરે છે.

‘વિશ્વ વન્યજીવન દિવસ’ (World Wildlife Day 2026)નો ઇતિહાસ
‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે’ ની સ્થાપના વર્ષ 2013 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી અને આ માટે 3 માર્ચની તારીખ પસંદ કરવામાં આવેલી કારણ કે, આ જ દિવસે વર્ષ 1973 માં CITES (Convention International Trae in Endangered Wild Fauna and Flora) અર્થાત્, ‘લુપ્તપ્રાય વન્યજીવન અને વનસ્પતિની આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ’ પર હસ્તાક્ષર થયા હતા. આ એક એવો આંતરરાષ્ટ્રીય કરાર છે જેનો મૂળ ઉદ્દેશ્ય, વન્યપ્રાણી અને વનસ્પતિઓના આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર શિકાર (International Poaching) તથા વેપારથી એમના અસ્તિત્વ પરનું જોખમ ટાળવા માટેનો સુનિશ્ચિત પ્રયાસ કરવાનો છે.
‘વિશ્વ વન્યજીવન દિવસ’ની સ્થાપના 3 માર્ચ 1973ના રોજ કરવામાં આવી હતી અને એનું મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ (Geneva, Switzerland) ખાતે સ્થિત છે અને એને ‘સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ’ (UNEP) દ્વારા સમર્થન પ્રાપ્ત છે.
આ હકીકત સ્વયં એ વાતનું પ્રમાણ છે કે, વન્ય જીવોનો પ્રશ્ન કોઇ એક દેશનો નથી પંરતુ, એક વૈશ્વિક જવાબદારી છે જેને પ્રત્યેક રાષ્ટ્ર, તમામ સમાજ અને દરેક નાગરિકે લેવી જ રહી!

ભારતની શું સ્થિતિ છે?
ભારતીય સંસ્કૃતિ (Indian Culture)માં તો પશુ-પંખીઓને પૂજનીય માનવામાં આવે છે અને અનેક દેવી-દેવતાઓની સાથે એમનો સંબંધ સ્થાપિત કરવામાં આવેલો છે. આપણા દેશની પરંપરા તો સહ-અસ્તિત્વની હંમેશાથી સમર્થક રહેલી છે. અહિં હિમાલય (Himalayas)ની બર્ફીલી ઊંચાઇઓથી માંડીને પશ્ચિમી ઘાટ સુધીના વર્ષાવનની શૃંખલાઓ, સુંદરવન (Sunder van)ના મેન્ગ્રોવ તટ થી માંડીને થાર મરુસ્થળ (Thar Desert) સુધીની સૂકી ભૂમિ…આ તમામ વિવિધતાઓ સભર ઇકો સિસ્ટમ (Eco System) વિદ્યમાન છે. ભારત (India) એવા ગણતરીના દેશોમાં સામેલ છે જ્યાં જેવ વૈવિધ્યનો અપાર ખજાનો પ્રાપ્ય છે. ગુજરાતમાં ગીર અભયારણ્ય (Gir Sanctuary) એશિયાઇ સિંહોનું એકમાત્ર ઉદાહરણ છે. આસામના કાઝીરંગા (Kaziranga, Asam)માં એક શિંગડાવાળા ગેંડા, પશ્ચિમ બંગાળ (West Bengal)ના સુંદરવન અને રાજસ્થાન (Rajsthan)ના રણથંભોરના વાઘ આજે પણ સંરક્ષણ હેઠળ હોવાથી કદાચ વિલુપ્ત નથી થયા! જો કે, એમનું અસ્તિત્વ સતત પડકારોથી ઘેરાયેલું છે!

આર્થિક રીતે આવશ્યક મુદ્દો
જંગલના જીવોનું રક્ષણ કરવું એ આપણી મનુષ્યજાતિ માટે પણ અત્યંત મહત્વની બાબત છે. આર્થિક દ્રષ્ટિએ પણ આ એક અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. ઇકો-ટૂરિઝમ (Eco-Tourism) આજે અનેક ક્ષેત્રોમાં રોજગાર અને આવકનો સ્ત્રોત બની ચૂક્યું છે. પરંતુ જો આ ઇકો-ટૂરિઝમ પર નિયંત્રણ લાદવામાં નહિં આવે તો એ વન્ય જીવો (Wild Life) માટે તણાવનું કારણ પણ બની શકે છે! આથી જ સંતુલિત પર્યટન નીતિ ઘડવી અત્યંત જરુરી છે જે કુદરતને નુકસાન પહોંચાડ્યા વિના આર્થિક લાભ પ્રદાન કરી શકે. ફક્ત લાભ કે હાનિ જ નહિં પણ નૈતિકતા અને સહઅસ્તિત્વની ભાવના પણ એમાં સામેલ હોવી જરુરી છે.
અંતે નિષ્કર્ષ એ જ છે કે, દરેક જીવનું અસ્તિત્વ મહત્વપૂર્ણ છે ભલે ને એ પ્રત્યક્ષ રીતે આપણને લાભ ન પહોંચાડતા હોય પણ પરોક્ષ રીતે એ વિશ્વનું પર્યાવરણીય સંતુલન (Global Environmental Balance) જાળવવામાં મદદરુપ હોય જ છે. જો સમયસર સંતુલન ન સધાયું તો કુદરતનો વળતો પ્રહાર મનુષ્યજાતિ માટે અત્યંત કઠોર સાબિત થઇ શકે છે! આથી જ વન્ય જીવોનું સંરક્ષણ કરવું એ કોઇ પરોપકાર નથી પરંતુ મનુષ્યો માટે આત્મરક્ષા સમાન છે.

વર્ષ 2026ની ‘વિશ્વ વન્યજીવન દિવસ’ની થીમ
‘Medicinal And Aromatic Plants: Conserving Health, Heritage and Livelihoods’
અર્થાત્
‘ઔષધીય અને સુગંધિત છોડ: આરોગ્ય, વારસો અને આજીવિકાનું સંરક્ષણ’
આ દિવસ એલોવેરા, લોબાન ઓર્કિડ જેવા ઔષધીય છોડ (Medicinal Plants)ની વિવિધતા અને એમના સંરક્ષણ પર ભાર મૂકે છે જે સ્વાસ્થ્ય સેવાઓ અને રોજગાર ઉપાર્જન માટે જરુરી છે. વધારે પડતા કુદરતી વનસ્પતિ સંસાધનોના દોહન, એમના નિવાસ નષ્ટ થવાથી અને જળવાયુ પરિવર્તન (Climate Change)થી પ્રભાવિત આ છોડની પ્રજાતિઓ અંગે જાગૃતિ વધારવા અને એમના સંરક્ષણના ઉપાયો કરવાના પ્રયાસો એ આ થીમ (Theme)નો મૂળ હેતુ છે.

વન્યજીવોનું મહત્વ અને યોગદાન અમૂલ્ય
વિશ્વભરના લોકો પોતાની જરુરિયાતો પૂર્ણ કરવા માટે વન્યજીવો અને જૈવ વૈવિધ્ય પર આધારિત સંસાધનો પર નિર્ભર છે. આહાર, ઇંધણ, દવાઓ, નિવાસ અને વસ્ત્ર સુધીની તમામેતમામ આવશ્યકતાઓ માટે આપણે કુદરતી સ્ત્રોત અને જંગલો (Natural Resources and Forests) પર સીધી કે આડકતરી રીતે આધારિત છીએ. આ પરિસ્થિતિમાં, આ દિવસે હળીમળીને વૃક્ષો અને પશુ-પંખીઓ, જીવજંતુઓની પ્રજાતિઓને આવનારી પેઢી (The Next Generation)સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવે છે આથી આગામી પેઢીઓ પણ એનો લાભ લઇ શકે.
વિશ્વ વન્યજીવન દિવસ જંગલના વૃક્ષો અને પશુ-પંખીઓ, જીવજંતુઓ (Trees, Animals, Birds, Insects)ના અનેકવિધ રુપોના અસ્તિત્વને ઉજવવાનો, એમના લાભ અંગે જાગૃતિ વધારવાનો અને વન્યજીવ અપરાધ તથા માનવજન્ય દખલથી આ પ્રજાતિઓની ઘટતી જતી સંખ્યાની સામેની લડાઇને તેજ કરવાની તાતી જરુરિયાત સૌને યાદ કરાવવાનો એક અમૂલ્ય અવસર છે જેથી એમના વ્યાપક આર્થિક, સામાજીક અને પર્યાવરણ લક્ષી પ્રદાનનું અને મનુષ્ય સહઅસ્તિત્વનું સંતુલન જાળવી શકાય.
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
