ગાંધીનગર,
ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ આજે નક્કી થઇ જશે.રાજ્યની વિધાનસભામાં ભાજપ 99 સીટો સાથે સત્તા સંભાળી રહ્યો છે ત્યારે પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાના નામની પસંદગી કરશે. જો સૂત્રોનું માનવામાં આવે તો હાલના મુખ્યપ્રધના વિજય રુપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમના હોદ્દા પર યથાવત રહેશે.
આમ છતાં ભાજપના બીજા સશક્ત નેતા વજુભાઇ વાળા, પુરષોત્તમ રૂપાલા, ભીખુ દલસાણિયા, મનસુખ માંડવિયા અને આનંદીબહેન પટેલના નામો પણ સીએમના પદ માટે ચર્ચામાં આવ્યા છે.ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટીંગ મળી હતી અને તેમાં સીએમ પદ માટેના નામની ચર્ચા કરવામાં આવી હતી.
જો કે વિજય રૂપાણીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નજીકના માનવામાં આવે છે અને સીએમ પદની રેસમાં તેમનું નામ સૌથી આગળ છે.
આ દરમિયાન ગુરુવારે મુખ્યમંત્રી વિજય રુપાણી અને ના.મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સમગ્ર પ્રધાનમંડળે રાજભવન ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલીને પોતાના રાજીનામા સુપરત કર્યા હતા. જેથી નિયમાનુસાર રાજ્યપાલ ચૂંટણીના પરિણામ પછી સરકાર અને વિધાનસભાનું વિસર્જન કરશે. મુખ્યમંત્રીએ રાજીનામું આપવા સાથે રાજ્યપાલનો આભાર માન્ય હતો. જ્યારે રાજ્યપાલે આગામી નવી સરકાર વિધિવત્ કાર્યરત થાય ત્યાં સુધી તમે એડમિનિસ્ટ્રેશન સંભાળવા જણાવ્યું હતું.