અમદાવાદ,
વર્ષ ૧૯૯૬માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થયેલા ભાજપના ધોતિયાકાંડ મામલામાં કોર્ટે ૨૨ વર્ષ બાદ VHP નેતા પ્રવીણ તોગડિયા સહીત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સોમવારે શહેરની મેટ્રોપોલિટન કોર્ટે આ કેસ અંગે ચુકાદો આપતા સીઆરપીસી કલમ ૩૨૧ મુજબ વિડ્રોની અરજી કોર્ટે માન્ય રાખી હતી અને કેસમાં સામેલ તમામ આરોપીઓને છોડી મૂકવા માટે આદેશ કર્યો છે. કોર્ટના આદેશ બાદ કેસમાં સામેલ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા, બાબુ જમના સહિત કુલ ૩૯ આરોપીઓ આ કેસમાંથી મુક્ત થયા છે.
મહત્વનું છે કે, શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ ભાજપ છોડીને શંકરસિંહ વાઘેલા સાથે જતા તેમના વર્ચસ્વને ખતમ કરવા ભાજપના કાર્યકરોએ તેમનું ધોતિયું ખેંચીને વસ્ત્રાહરણ કર્યું હતું. ત્યારબાદ આ ઘટના અંગે ભાજપની ઘણી બદનામી થઇ હતી.