ઈસ્લામાબાદ
આવતીકાલે પાકિસ્તાનમાં ચુંટણી યોજાવાની છે. પરંતુ આ ચુંટણી પહેલાથી જ હિંસા અને રાજકીય વિવાદમાં ફસાયેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો હવે એક મંચ પર પહોંચી રહ્યા છે કે પાકિસ્તાનની સેના આ ચુંટણીમાં તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનને વિજય બનાવવામાં લાગેલી છે. નિષ્ણાંતોનુ માનવું છે કે પાકિસ્તાન સેનાએ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીઓ ખાસ કરીને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ અને પાકિસ્તાન પિપલ્સ પાર્ટીને જીતવા માટે કોઈ તક ઉભી થવા દીધી નથી.
જેલમાં બંધ નવાઝ શરીફે આરોપ લગાવ્યો છે કે તેમની પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની મિલ્લી મુસ્લિમ લીગ અને ફાયર બ્રાન્ડ મૌલવી ખાદીમ હુસૈન રિઝવીની તહરીક એ લબ્બૈક જેવી કટ્ટરવાદી પાર્ટીઓને ચુંટણી લડાવવા પાછળ પણ પાકિસ્તાન સેનાનો હાથ છે. જેથી પંજાબમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજના વોટ વિભાજીત કરી શકાય.
પંજાબ એ પાકિસ્તાનની રણનીતિનુ મુખ્ય સ્થળ છે. કારણકે દેશમાં ૨૭૨ બેઠકોમાંથી અડધી બેઠકો એકલા પંજાબમાં આવેલ છે. પંજાબમાં તહરીક એ લબ્બૈક અને મિલ્લી મુસ્લિમ લીગે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. એટલુ જ નહીં નિષ્ણાંતોનુ એ પણ માનવુ છે કે પાકિસ્તાનની સેના પંજાબમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ પાર્ટીના સભ્યોને પાર્ટી બદલવા દબાણ કરી રહી છે. જેના કારણે પાર્ટી છોડી ચુકેલ ૧૮૦થી વધુ ઉમેદવારો અપક્ષ ચુંટણી લડી રહ્યા છે. મહત્વનુ છે કે પાકિસ્તાન સંસદમાં કુલ ૩૪૨ સીટો છે. જેમાંથી ૭૦ સીટો અનામત છે, જ્યારે ૨૭૨ બેઠકો પર ચુંટણી યોજાઈ રહી છે.