અમદાવાદ,
અમદાવાદના નરોડામાં આવેલા સ્મશાન ગૃહ પાસે એક હેડ કોન્સ્ટેબલની લાશ મળી આવી હતી. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પણ પોલીસકર્મીના મોત પાછળ હજુ કોઈ ચોક્કસ કારણ પોલીસને જાણવા નથી મળ્યું. જેને લઈને પોલીસે પીએમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે સાચી હકીકત જાણવા તપાસ તેજ કરી છે.
કોન્સ્ટેબલની લાશ મળી આવતાં તેમની હત્યા કરવામાં આવી છે કે પછી અકસ્માતના કારણે તેમનું મોત થયુ છે જે એક ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
નરોડાના સ્મશાન પાસેથી પોલીસ જવાનનો મૃતદેહ મળ્યો હતો. શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા દિનેશ પરમારનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસ હેડક્વાર્ટરમાં એફ-1 કંપનીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ રમાભાઇ પરમારનું મોડી રાતે નરોડા સ્મશાનગૃહ નજીક મોત થયુ હતું. દિનેશભાઇ ઘણા વર્ષથી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને નરોડા વિસ્તારમાં આવેલ તક્ષિશલા એપાર્ટમેન્ટમાં તેમના પરિવાર સાથે રહે છે. પોલીસ જવાન બીજા ઘરે જવાનું કહી નીકળ્યા હતા.
ઝોન-4ના ડીસીપી નીરજ બડગુર્જરે જણાવ્યું હતું કે દિનેશભાઇ હેડક્વાર્ટરમાં એફ-1 કંપનીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. મોડી રાતે તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા અને ચાલતા ચાલતા રોડ પર આવતા હતા જ્યાં તેમનું મોત થયું છે. હાલ પ્રાથિમક તપાસમાં દિનેશભાઇનું મોત અકસ્માતથી થયું હોવાનું સામે આવ્યું છે.
નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને દિનેશભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ દિનેશભાઇની હત્યાનું સાચું કારણ જાણી શકાશે.