શ્રીનગર,
શ્રીનગરના જૂના શહેરમાં એક ઇમારતને રોઝાબલ નામે ઓળખવામાં આવે છે.રોઝાબલ એક મજાર છે અને અધિકૃત રીતે તો મજાર એક મધ્યકાલીન મુસ્લિમ ઉપદેશક યૂંઝા આસફનો મકબરો છે.
પરંતુ, મોટી સંખ્યામાં લોકો એવું માને છે આ કબર ઈસુ ખ્રિસ્તની છે.એમનું માનવું છે કે સૂળીથી બચીને ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલા પોતાના જીવનના બાકીના દિવસો ગુજારવા માટે કાશ્મીર આવ્યા હતા.
એક જાણીતી ચેનલ લોન્લી પ્લેનેટમાં આ મકબરા વિશે એપિસોડ રિલીઝ થયા પછી દુનિયામાં ખ્રિસ્તી ધર્મના લોકો પણ એવું માનતા થયા છે કે અહીં ઈસુ ખ્રિસ્ત પોઢેલા છે.આ મકબરાની સંભાળ રાખતા રિયાઝનું ફેમિલી નથી માનતું કે અહીં ઈસુ ખ્રિસ્ત દફન છે.
એમનું કહેવું છે કે આવી અફવા સ્થાનિક દુકાનદારોએ ફેલાવેલી છે, કેમ કે કોઈ પ્રોફેસરે એમને એવું કહ્યું હતું કે આ ઈસુ ખ્રિસ્તની કબર છે.દુકાનદારોએ વિચાર્યુ કે આટલા વર્ષોની હિંસા બાદ આ એમનાં કારોબાર માટે સારું રહેશે. પ્રવાસીઓ આવશે.
બીજી તરફ વિદેશના કેટલાક શોધકર્તાઓનું માનવું છે કે રોઝાબાલમાં જે યુઝા અસફનો મકબરો છે તે બીજું કોઈ નહીં પણ જીસસ પોતે છે.
રોઝાબાલના આ મકબરા વિશે બીબીસી લંડને જીસસ ઇન ઇન્ડિયા નામની 42 મિનિટની ડોક્યુમેન્ટરી પણ બનાવી છે.આન્દ્રેયસ ફેબર નામના લેખકે પણ જીસસ ડાઈડ ઇન કાશ્મીર નામનું પુસ્તક પણ લખ્યું છે.