@મહેન્દ્ર મારૂ
Bhuj News: ભુજની ન્યુ લોટસ કોલોનીમાં રહેતા ૫૦ વર્ષીય વિધવા મહિલાએ આત્મઘાતી પગલું ભરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ મામલે પૂર્વે મરણજનાર જમનાબેન માંગીલાલ બારોલીયાએ લખેલી સુસાઇડ ચીઠ્ઠીથી ભુજ સહિત સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી છે.
ભુજના ન્યૂ લોટસ કોલોનીમાં રહેતા અને ધોબીનું કામ કરતાં જમનાબેન બારોલીયાએ સુસાઇડ નોટમાં ૧૨ પાડોશીઓ સામે પોતાની છાતી દબાવી ગંભીર છેડતીના કરેલા આક્ષેપો બાબતે તેમની પુત્રી છાયા રવિ બારીયાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને ૪ દિવસ થયા પરંતુ હજુ સુધી આ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
ભુજમાં શહેરમાં સર્જાયેલ પાણીની કટોકટી એ ઘટનાનું મૂળ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મહત્વની બાબત તો એ છે કે, જયારે લોટસ કોલોનીમાં પાણીનું ટેન્કર આવતું ત્યારે આસપાસ રહેતાં પડોશીઓ પોતાની મેળે પાણી ભરી લેતાં હતાં અને જમનાબેનને ગાળો આપીને પાણી ભરવા દેતાં નહોતાં અને હતભાગી પર જુલમ અને ત્રાસ ગુજારતા હતા.
આ મામલે જેમના ઉપર આરોપ છે એ તમામ ૧૨ પાડોશીઓ ઘરે તાળા મારી ગુમ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. જોકે, આ ચકચારી બનાવ અંગે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવે તેમ છે. આમ પાણી મુદ્દે થતી રોજેરોજની માથાકૂટથી કંટાળેલા જમનાબેન તેમની દીકરી છાયાને ફોન કરીને પડોશીઓના અત્યાચાર અને અન્યાયની ફરિયાદ કરતાં હતાં. ગત શુક્રવારે સવારે ૧૧ વાગ્યાના અરસામાં જમનાબેને દિકરી છાયાને ફોન કરીને કહેલું કે ‘પડોશી અરવિંદ રાજગોર, તેની પત્ની ભાવના, બે દીકરા મીત અને અજુલ તથા પૂર્વીબેન જીતુભાઈ જેઠી, તેની દીકરી વિશ્વા, જીગર ચૌહાણ અને તેનો ભાઈ ખુશાલ ઉર્ફે બબુજી ચૌહાણ, જ્યોતિબેનં મહેશભાઈ ચૌહાણ, અંકિતા જીગરભાઈ ચૌહાણ, પ્રિન્સ વિનોદભાઈ ભટ્ટી અને તેની પત્ની રેખા વગેરે આપણાં ઘરમાં ઘૂસી આવેલાં અને અરવિંદ અને તેની પત્ની ભાવનાએ મને છાતીના ભાગેથી પકડી રાખી તથા જીગર અને ખુશાલે મારી સાથે ઝપાઝપી કર્યા બાદ બીભત્સ ગાળો બોલી હેરાન કરેલી’ આટલું બોલીને જમનાબેન રડવા લાગ્યા.
આ સમગ્ર બનાવ ૧૨ એપ્રિલની સાંજે બન્યો હતો. દીકરીએ માતાને શાંત કરી આશ્વાસન આપેલું કે ‘છોકરાઓની પરીક્ષા કાલે પૂરી થઈ જાય છે એટલે હું સાંજે ભુજ આવું છું’ ૧૩ એપ્રિલ ગત શનિવારે આપઘાત કરતાં અગાઉ જમનાબેને બે વખત દીકરી છાયાને ફોન કર્યો હતો.
..પરંતુ કહેવત છે ને કે, અનહોનીને કોણ ટાળી શકે તેમ, ન થવાનું થઈ ગયું,..
છાયાએ મમ્મીને સતત ફોન કરતાં તેમણે ઉપાડ્યો નહોતો. વારંવાર ફોન કરવા છતાં સતત રીંગ રણકતી રહેતાં છાયાએ પડોશીને જાણ કરી ઘરે જઈ તપાસ કરવા કહેલું પણ થોડીકવાર બાદ છાયાને તેના માસીએ ફોન કરી તેની મમ્મી સિરિયસ હોવાનું કહી તત્કાળ ભુજ આવી જવા કહ્યું હતું. છાયા પોતાના પતિ તથા ગાંધીધામ રહેતી નાની બહેન અને તેના પતિ સાથે ભુજ આવી પહોંચી ત્યારે જાણ થઈ કે મમ્મીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મરતાં પૂર્વે જમનાબેને આઠ પાનામાં પાણી બાબતે પડોશીઓએ ઘરમાં ઘૂસીને કરેલી છેડતી સહિત અત્યાચારની વિગતો લખી ઘરના મંદિરના કોરાણે મૂકી દીધાં હતાં. આ બનાવ મામલે ભુજ બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ૧૨ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હાલ આ બનાવને લઈ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ન્યાયની આશ લગાવી બેઠા છે, પરિવારને કયારે ન્યાય મળશે અને આરોપીઓ કયારે ઝડપાશે? તે હવે જોવું રહ્યું….
આ પણ વાંચો:અડાલજ પાસેથી દારૂના જથ્થા સાથે છ લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:ગુજરાતથી આગામી છ દિવસમાં યુપી-બિહાર માટે રવાના થશે પશ્ચિમ રેલવેની ચાર વિશેષ ટ્રેનો, જુઓ ટાઈમ ટેબલ
આ પણ વાંચો:સી.આર.પાટીલ: વિજય મુહૂર્તનો સમય ચુકતા આવતીકાલે નામાંકન પત્ર ભરશે
આ પણ વાંચો:ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન